ગાંધીનગર: રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે 2000 મેગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશના 82% રહેણાંક સોલાર રૂફટોપ (Solar Rooftop) ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ આ વાત જણાવી હતી. વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા, જેમણે અગાઉ મફત વીજળીના ચૂંટણી વચનો આપ્યા હતા, મંત્રીએ કહ્યું, “રહેણાંક સોલાર રૂફટોપ સિસ્ટમ્સ 200 થી 300 યુનિટ મફત વીજળીની ઓફર કરતાં ઘણી સારી છે.” “ગુજરાતમાં લગભગ પાંચ લાખ ઘરોએ છત પર સોલાર પેનલ લગાવી છે.
તેઓએ અત્યાર સુધીમાં તેમના વીજ બિલોમાં (Electricity Bill) લગભગ રૂ. 2,000 કરોડની બચત કરી છે અને તેમની સોલાર પેનલો દ્વારા ઉત્પન્ન થયેલા વધારાના યુનિટ વેચીને રૂ. 200 કરોડથી વધુની કમાણી કરી છે,” દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ ઘરો પાસેથી પ્રતિ યુનિટ રૂ. 2.25ના ભાવે વધારાની વીજળી ખરીદે છે. જે વ્યક્તિઓ 1 kw ક્ષમતાથી 10 kw ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે તેઓ રાજ્ય સરકાર તરફથી સબસિડી માટે પાત્ર છે. મંત્રીએ કહ્યું કે લોકો માત્ર તેમના વીજ બિલમાં જ બચત કરી શકતા નથી પરંતુ તેમની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચીને પૈસા પણ કમાઈ શકે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, સિસ્ટમ હેઠળ, સૌર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો જથ્થો ઘર દ્વારા વપરાશમાં લેવાયેલી ઉર્જા સામે સરભર કરવામાં આવે છે. દેસાઈએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ હેઠળ એક કરોડ પરિવારોને રૂફટોપ સોલાર ઈલેક્ટ્રિફિકેશન સિસ્ટમ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આ યોજના સાથે જોડાયેલ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ