સંજય મહંત,મંતવ્ય ન્યુઝ-સુરત
સુરતના ભાઠાગામમાં રોજીદા કામકાજ માટે વાડામાં ગયેલી મહિલા પર જીવંત વીજતાર તૂટી પડતા તે જીવતી સળગી ગયી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. તો બીજી તરફ પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના અડાજણ સ્થિત ભાઠાગામમાં કનુભાઈ રાઠોડ તેમની ત્રણ દીકરી, પત્ની ભાવના સાથે રહે છે. અને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમ્યાન તેઓની પત્ની ભાવના રોજીદા કામકાજ માટે વાડામાં ગઈ હતી. દરમ્યાન અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર ભાવના ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતા જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. આ ઘટનાને લઈને તેઓના પરિવારજનો અને ફળિયાના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. પરંતુ વીજ લાઈન ચાલુ હોવાથી મહિલાને કોઈ બચાવી શક્યું ન હતું. મહિલા બચાવો બચાવોની બુમો પાડતી રહી હતી અને આખરે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે 30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યારબાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
ભાવના બેનના પતિ કનુભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં લગભગ આ વીજ લાઈન પરથી 3-4 વાર જીવીત વીજ લાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ હતી. ભાવનાબેનના પતિએ જણાવ્યું હતું કે અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીઓએ માતા અને મે મારી પત્ની ગુમાવી છે. બસ બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી સજા થાય એ જ અમારી માગણી છે.