એક તરફ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનાં ખર્ચે જળસંચય યોજના ચલાવી રહી છે. પરંતુ બીજી તરફ સરકારી તંત્ર એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ વ્યાપક પ્રમાણમાં ગંદકી ફેલાવી રહ્યું છે.
અમદાવાદની સુંદરતાને ગ્રહણ લગાડનાર ખારીકટ કેનાલની સફાઇ માટે સરકારે સતત એક મહિના સુધી કાર્યવાહી કરી અને ગંદકી ફેલાવનાર સ્થાનિકો સામે પણ કડક કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી છે.
પરંતુ AMC દ્વારા જ ડ્રેનેજની ગંદકી આ કેનાલમાં છોડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે વિરાટનગરમાં આવેલી કેનાલમાં AMC દ્વારા ડ્રેનેજનું પાણી છોડવામાં આવતાં પોતાનાં ઘરની આસપાસનાં વિસ્તારમાં ભારે ગંદકી ફેલાતી બંધ થશે તેવી અપેક્ષા રાખીને બેઠેલાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
કારણ કે, આ પહેલાં એક સ્થાનિક દ્વારા કેનાલમાં કચરો નાખવામાં આવતા એક અધિકારીઓએ તેને કેનાલમાં ઉતારીને કચરો સાફ કરાવ્યો હતો. તો ત્યારે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે, શું અધિકારીઓ પોતાનાં જ કર્મચારીઓ સામે આવી કડક કાર્યવાહી કરશે કે પછી બેવડું વલણ અપનાવશે.