@ચિરાગ પંચાલ અમદાવાદ
શહેર હોય કે ગુજરાતના ગામડાં જયાં જૂઓ ત્યાં ભગવો લહેરાયો છે. તેમાં ભાજપની લોકપ્રિયતાની સાથે પ્રદેશપ્રમુખ પાટીલના પણ વખાણ થઇ રહયા છે. જેઓ એક પછી એક ગુજરાતમાં આવેલી ચૂંટણીઓમાં માસ્ટર પ્લાન સાથે મેદાનમાં ઉતર્યા અને જવલંત જીત મેળવી છે. અને તેમાંય ખાસ કરીને પેજપ્રમુખની પેટર્ને ભાજપને જબરજસ્ત ફાયદો કરાવ્યો છે.
જ્યારથી ભાજપના પ્રદેશ પ્રખુમ પદે પાટીલની એન્ટ્રી થઇ છે ત્યારથી જાણે કે ભાજપ એક નવા પ્લાનિંગ સાથે ગુજરાતમાં આગળ વધી રહયુ છે. કોરોનાકાળ હોય કે પછી પેટાચૂંટણીઓ પાટીલે ચૂંટણીની કસરત કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. ગુજરાતના ખુણેખુણામાં પાટીલની રેલી અને કાર્યકર્તાઓનો રેલો સૌ એ જોયો છે. નગરપાલિકા,પંચાયતની ચૂંટણીઓના પરિણામોમાં તે જોવાયું છે. એટલે કે એક ચોકકસ રણનીતી જીત સુધી ખેચી જાય છે તે પાટીલે પ્રુવ કર્યુ છે.
ભાજપ માટે મૉડલ સ્ટેટ રહેલા ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે અગાઉ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પક્ષના કાર્યકરને સક્રિય રાખવા પેજપ્રમુખની રણનીતિ અપનાવી હતી. તેના લીધે ભાજપને ગુજરાતમાં પંચાયતથી પાર્લમેન્ટ સુધી સતત સફળતા મળી રહી હતી. હવે સી.આર.પાટીલ પણ એ જ રસ્તે જઈ રહ્યા છે, એટલે કે ભાજપ હવે નેતાઓ જ નહીં. કાર્યકરોના સહારે ચૂંટણી મેનેજમેન્ટ કરતી હોવાથી ભાજપ એક કેડરબેઝ પાર્ટી બની ગઈ છે.
જો કે ભાજપની આજ રણનીતી ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કમાલ કરીને કમળને જીતાડશે તેવો નેતાઓને પાક્કો વિશ્વાસ છે. સોશિયલ મીડિયા યુદ્ધની સાથે આ વખતે હાઇટેક પદ્ધતિથી ભાજપ ૨૦૨૨ની ચૂંટણી લડશે. આ વખતે ભાજપની ચૂંટણી રણનીતિના ખેલાડીઓ ખાસ પેજપ્રમુખ હશે. પેજપ્રમુખની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી અને અમિત શાહની હતી. જેમણે પહેલાં ગુજરાતમાં ભાજપને સફળતા અપાવી છે અને હવે સી.આર.પાટીલ પણ એ જ રસ્તે જઇ રહ્યા છે. જે કોંગ્રેસ માટે અત્યંત જોખમી બની શકે એવા સંકેત અત્યારથી જ મળી રહ્યા છે. કારણ કે પ્રત્યેક ચૂંટણી સમયે કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ અત્યંત કંગાળ છે.
પેજપ્રમુખની ફોર્મુલા એટલા માટે ખાસ છે કારણ કે એક મતદારયાદીના એક પેજદીઠ એક પેજપ્રમુખ બનાવવામાં આવે છે. એટલે કે મતદારયાદીના એક પાનાના અંદાજે 50 મતદારો વચ્ચે એક પેજપ્રમુખ બનાવવામાં આવે છે. પેજપ્રમુખ ઉપરાંત પ્રત્યેક બૂથ પર સ્માર્ટફોન સાથે કાર્યકરોની યાદી બને છે. સામાન્ય રીતે ચૂંટણી ગેમપ્લાનમાં પેજ-ઇન્ચાર્જની ભૂમિકા બહુ જ મહત્ત્વની હોય છે. જો કે ભાજપ પાસે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક મેળવવાનો માસ્ટર પ્લાન પણ પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે તૈયાર કર્યો છે. અગાઉ ગુજરાતની ચૂંટણીમાં 60 મતદારો વચ્ચે એક પેજ-પ્રમુખ રહેતો હતો. પેજ-પ્રમુખ હંમેશાં તેના ઘરમાંથી મત માગવાની શરૂઆત કરે છે.
જો કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે અસ્તિત્વનો જંગ હશે. પાટીલે તો અગાઉ કહ્યું હતું કે અમે ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટો પર વિજય મેળવવાના છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પેજપ્રમુખ બની પેજ સમિતિનું ગઠન કર્યું છે. પેજપ્રમુખની વોર્ડની યાદીમાં નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, મતદારયાદી ક્રમાંક, જન્મતારીખ, લગ્ન તારીખ અને બ્લડગ્રુપ લખવામાં આવે છે. સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ અને આગેવાનો પણ પેજપ્રમુખ બન્યા છે. જે આગામી ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકા ભજવીને ભાજપને વિજય અપાવશે.
આજના ચૂંટણી પરિણામોના વિજયોત્સવમાં પણ મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ એકજ કારમાં આવ્યાં હતાં. અને વિક્ટરીની સાઈન બતાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. પાટીલે કહ્યું હતું કે 2015માં ભાજપને નુકસાન હતું તે વ્યાજ સાથે પૂરું કર્યું છે. તો મુખ્યમંત્રી રૂપાણીએ પણ કહયુ હતુ કે આ અભૂતપુર્વ્ જીત કાર્યકતાઓ અને સીઆરની ટીમને કારણે થઈ છે. સી.આર પાટીલ અને સંગઠનની ટીમનો આભાર માનું છું. 2022માં ફરી ભાજપની સરકાર બનશે.