કેએલ રાહુલ (૧૪૯) અને ઋષભ પંત (૧૧૪)એ ઓવલ ટેસ્ટમાં ભારતીય આશાઓને ઘણા સમય સુધી જીવીત રાખી, પરંતુ તેમના આઉટ થયા બાદ શ્રેણીની અંતિમ ટેસ્ટ જીતવાની ભારતની આશા પર પણ પાણી ફરી વળ્યુ અને ઈંગ્લેન્ડે આ શ્રેણી ૪-૧થી પોતાના નામે કરી લીધી.

અંતિમ ટેસ્ટમાં ભારતને ઈંગ્લેન્ડે ૧૧૮ રનથી પરાજય આપ્યો. ભારતને જીત માટે ૪૬૪ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ ટીમ ૩૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેચમાં હાર બાદ વિરાટ કોહલીએ જણાવ્યુ હતું કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણી અત્યંત સ્પર્ધાત્મક રહી હતી. ભારતના ખેલાડીઓ નિર્ભયતાપૂર્વક રમ્યા હતા. અમારી ટીમમાં નિષ્ઠા છે, પણ અનુભવનો અભાવ નડી ગયો. કોહલીએ આ છેલ્લા દાવમાં સેન્ચુરી ફટકારનાર રાહુલ અને પંતની પ્રશંસા કરી હતી.

સાથે જ કોહલીએ જણાવ્યુ કે, અંત સુધી લડી લેવાની ટીમની ઈચ્છાશકિત જોવા મળી. ઈંગ્લેન્ડની ટીમ એકદમ પ્રોફેશનલ અભિગમવાળી છે. એ લોકો પણ ડ્રો માટે રમ્યા નહોતા અને અમારી જેમ નિર્ભયતાપૂર્વક રમ્યા હતા. એટલા માટે જ શ્રેણીમાં એક ય મેચ ડ્રોમાં પરિણમી નથી. ભારતીય કેપ્ટન કોહલીએ શ્રેણીમાં કુલ ૫૯૩ રન ફટકાર્યા હતા, જેને ભારત તરફથી પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ મળ્યો. તેમજ ઈંગ્લેન્ડ તરફથી યુવા ઓલરાઉન્ડર સેમ કેરનને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ મળ્યો.