Gujarat News : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ મુખ્ય જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ છે. હાલ ગુજરાતના આ તમામ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે. હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે.
વિસ્તારવાર જોઈએ તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિને જોતાં સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં કોઈ અડચણ નહીં આવે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: આ રાક્ષસી વૃક્ષથી ચેતવુ જરૂરી, રાજ્ય સરકારે રોપા ઉછેર પર સંપૂર્ણ પ્રતિબંધ
આ પણ વાંચો: પાણીની ઉણપ થતાં શરીર આપે છે આ 5 સંકેત, આજે જ રાખો ધ્યાન
આ પણ વાંચો: કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતનો સામનો કેવી રીતે કરવો?