અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ અંતર્ગત દિલ્હીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રોડ-શો યોજાયો હતો. જેમાં વન-ટુ-વન બેઠક શ્રૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજીંગ ડિરેકટર કેનિચી અયુકાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાતમાં તેમની કંપનીની વિકાસ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક શ્રૃંખલા અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવા સાથે ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટના કાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી દ્વારા ગુજરાતની વિવિધ આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કેનિચી અયુકાવાએ જણાવ્યું હતું કે, મારૂતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા તબક્કાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી એટલે કે ૭.૫ લાખથી વધારીને ૧૫ લાખ કારની કરશે તે અંગે પણ તેમણે મુખ્યમંત્રી રૂપાણીની સાથે ચર્ચાઓ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત નવી દિલ્હી ખાતે વિવિધ ઉદ્યોગપતિઓ, રાજદ્વારી મહાનુભાવો સહિતના સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વન ટુ વન બેઠકોની શ્રૃંખલાઓ યોજાઈ હતી.
આ બેઠકો અંતર્ગત યોજાયેલી બેઠકો દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.