રાજ્યમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હુમલાઓ શરૂ થયા બાદ ઘણા ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને પોતાના રાજ્યમાં પરત ફર્યા હતા. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરે છે. તો આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર પરપ્રાંતીયો પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. આ મુદ્દે આજે અલ્પેશ ઠાકોરે ઉપવાસ પણ કર્યા હતા. અલ્પેશના ઉપવાસ સ્થળે વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા.
પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્યમાં સત્તાપરિવર્તનની આશંકા વ્યક્ત કરી છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કે, પહેલાં જાતિવાદની હોળીમાં આનંદીબેન હોમાયા.. હવે ગૌરવવંતા ગુજરાતમાં પ્રાંતવાદનો પલીતો ચાંપીને તમામ મોરચે નિષ્ફળ નિવડેલી અને રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારનું રાજીનામુ લેવા માટે ઊપર બેઠેલા આકાઓએ ષડ્યંત્ર શું કામ રચ્યું છે..?
પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને હટાવવાનું આ કાવતરુ છે. પરપ્રાંતીયો પર હુમલો કરીને રૂપાણી સરકારને હટાવવાની આ ચાલનો સરકાર જવાબ આપે. પાટીદારો પર દંડા વરસાવીને આનંદીબહેનને દૂર કર્યા હતા.