ઈટાનગર: આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો સંપૂર્ણ દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યાના ત્રણ દિવસ પછી અરુણાચલ પ્રદેશની ટોચની વિદ્યાર્થી સંસ્થા દ્વારા તેમના રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પંદર દિવસમાં રાજ્ય છોડી જવા માટે જણાવ્યું હતું.
આસામમાં એનઆરસી બહાર પડ્યા પછી ત્યાં ગેરકાયદે નિવાસ કરતા લોકો પોતાના રાજ્યમાં પગપેસારો કરશે એવા ડરને લીધે ઑલ અરુણાચલ પ્રદેશ સ્ટુડન્ટ્સ યુનિયન (AAPSU) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાજ્યમાંના ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાની ઝુંબેશ આદરશે અને જિલ્લા સત્તાવાળાને રાજ્યના એન્ટ્રી પોઈન્ટ પર નિગરાની રાખવામાં મદદ કરશે.’
એએપીએસયુના જનરલ સેક્રેટરી તોબોમ દાઈએ જણાવ્યું હતું કે આસામના એનઆરસીના ડ્રાફ્ટમાં જેમનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો નહીં હોય તેવા ગેરકાયદે રહેતા લોકો રાજ્યમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે.
એએપીએસયુના સભ્ય તાટુંગ ટાગાના અધ્યક્ષપદે સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્યો આખા રાજ્યમાં ગેરકાયદે વસાહતીની હકાલપટ્ટી કરવાની ઝુંબેશ શરુ કરશે. બે રાજ્ય વચ્ચેના સીમા વિસ્તારોમાં એન્ટ્રી પોઈન્ટ પર લોકોની ચકાસણી કરવામાં જિલ્લા સત્તાવાળાને મદદ કરશે. ગેરકાયદે વસાહતી નાગરિકો સામેની ઝુંબેશ દરમિયાન બિન જરૂરી હેરાનગતિ ટાળવા માટે દાઈએ લોકોને પોતાની ઈનર લાઈન પરમિટ (આઈએલપી) અને બીજા દસ્તાવેજો તૈયાર રાખવાની વિનંતિ કરી હતી.
ગયા અઠવાડિયે અરુણાચલની રાજ્ય સરકારે જુદા જુદા જિલ્લામાં જરૂરી દસ્તાવેજો અને પરમિટ વિના રહેતા લોકો વિરુદ્ધ આદરેલી ઝુંબેશ દરમિયાન તિરાપ જિલ્લાના ખોન્સામાં આઈએલપી નહીં ધરાવતા ૧૫ જણને પકડવામાં આવ્યા હતા. રાજ્યની રાજધાનીમાં યોગ્ય આઈએલપી નહીં ધરાવતા ૨૦થી વધુ જણને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.