ભારતીય વાયુસેના અને DRDO આગામી સપ્તાહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના હવામાં લોંચ કરનારા વર્ઝનનું પરિક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મિસાઈલના સફળ પરિક્ષણ બાદ ભારત બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક દેશમાં બનેલા હથિયારોની મદદથી જ કરવામાં સક્ષમ બનશે. POKના બાલાકોટમાં હાજર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓ પર સ્ટ્રાઈક કરવા ભારતે ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બને મિરાજ ફાઈટર પ્લેન દ્વારા ફેંકવામાં આવ્યા હતા. વાયુસેનાના સુત્રોના જણાવ્યા અનુસાર 290 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઈલના એર વર્ઝનનો વહેલી તકે વિકાસ કરવા વાયુસેના પ્રયાસ કરી રહી છે. આ મિસાઈલ જમીન પર ટારગેટને ધ્વસ્ત કરી શકશે.