કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Dharma: દિવાળી પછીનો એક દિવસ ખૂબ જ અગત્યનો છે, જ્યારે બહુજ મહત્વની પૂજા કરવામાં આવે છે. આ દિવાળીના તહેવારનો અંતિમ દિવસ હોય છે.આ દિવસ એટલે કે, લાભ પાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો. તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.
આ વર્ષે લાભ પાંચમ ૬ નવેમ્બર અને બુધવાર દિવસે આવે છે. લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનું ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.
શારદા પૂજન: આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે, સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.
ભગવાન ગણેશની પૂજા: દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.
ચોપડા પૂજન: લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે.
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા