જહાનાબાદ,
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ ભારતબંધના એલાન બાદ ઠેર-ઠેર આગજની, ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
જો કે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન બિહારના જહાનાબાદમાં માત્ર બે વર્ષની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃત બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, “ભારત બંધના કારણે કોઈ વાહન ન મળવાના કારણે બાળકીનું મોત થયું છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત બંધ દરમિયાન બિહારમાં ખુબ હિંસક પ્રદર્શન જોવા મળ્યું છે. તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા રાજ્યમાં ચક્કાજામ અને ટ્રેનો રોકવામાં આવી રહી છે.
બિહારના પટના, ગયા, ભોજપુર, દરભંગા સહિતના અલગ અલગ વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાને લઈ ઉગ્ર નારેબાજી કરી હતી. આ દરમિયાન બેગુલસરાયમાં ટ્રેન પણ રોકવામાં આવી છે.
આ ઉપરાંત રાજધાની પટનામાં પણ મધેપુરાથી સાંસદ પપ્પુ યાદવની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાજેન્દ્ર નાગર ટર્મિનલની બહાર બસોમાં તોડફોડ કરવામાં આવી છે તેમજ અન્ય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે.
રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલ્યો હતો.
રામલીલા મેળા ખાતે ધરણા પએ બેઠેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો બોલતા જણાવ્યું, :
ભાજપ સરકારે પોતાના વાયદાઓ પુરા કર્યા નથી.
આજે પેટ્રોલનો ભાવ ૮૦ને પાર અને ડીઝલ ૮૦ની નજીક પહોચ્યું છે. આજે LPGનો ભાવ પણ ૮૦૦ રૂપિયા સુધી પહોચ્યો છે, પરંતુ પીએમ મોદી કઈ દુનિયામાં છે.
આ પહેલા તો વડાપ્રધાન દેશમાં ઘૂમી ઘુમીને કહેતા હતા કે, પેટ્રોલના ભાવ આસમાને પહોચી રહ્યા છે, પરંતુ આજે તેઓ પાસે એક પણ શબ્દ નથી.
બળાત્કાર જેવી ઘટનાઓમાં ભાજપના ધારાસભ્યો શામેલ થાય છે, પરંતુ પ્રધાનમંત્રી ચુપ જ રહે છે.
GSTથી લઈ રાફેલ ફાઈટર પ્લેનની ડીલ અંગે મોદીજીએ એક પણ નિવેદન આપ્યું નથી. ખબર નથી કે, પીએમ મોદી કઈ દુનિયામાં છે.
મહત્વનું છે કે, દેશભરમાં ભારત બંધને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ચક્કાજામ, આગજની તેમજ રેલ્વે રોકીને પ્રદર્શન કરાઈ રહ્યું છે.
દેશની ૨૧ વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરાયું બંધને સમર્થન
કોંગ્રસ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને દેશની ૨૦ થી વધુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં આ પાર્ટીઓના કાર્યકતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને મોદી સરકાર વિરુધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.