નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી દેશમાં અનેક રાજ્યોમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સામે આવી છે. દેશભરમાં સતત વર્ષી રહેલા વરસાદના કારણે પુર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ નોધપાત્ર વધારો થયો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ મોનસૂન સિઝનમાં અત્યારસુધીમાં ૭ રાજ્યોમાં થયેલી અનેક ઘટનાઓમાં ૭૭૪ લોકોના મોત થયા છે.
દક્ષિણ ભારતના રાજ્ય કેરળનાં વરસાદના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ બાદ હવે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હાલાત બેકાબૂ બન્યા છે.
૧૬ રાજ્યોમાં જાહેર કરાયું એલર્ટ
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદના કારણે ઉભી થયેલી બેકાબૂ પરિસ્થિતિને જોતા ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેંડ અને અરુણાચલ પ્રદેશ સહિત ૧૬ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે વરસાદના કારણે અમરનાથ યાત્રા પણ રોકવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (NIRC)ના જણાવ્યા મુજબ, પુર અને વરસાદના કારણે કેરળમાં ૧૮૭, ઉત્તરપ્રદેશમાં ૧૭૧, પશ્ચિમ બંગાળમાં ૧૭૦ અને મહારાષ્ટ્રમાં ૧૩૯ લોકોના મોત થયા છે.
હોમ મિનિસ્ટ્રીના આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ૫૨, આસામમાં ૪૫, નાગાલેંડમાં ૮ અને કેરળમાં ૩૯ લોકોના મોત થયા છે, જયારે પશ્ચિમ બંગાળમાં ૫ લોકો લાપતા થયા છે. આ ઉપરાંત અલગ-અલગ ઘટનાઓમાં ૨૪૫ લોકો ઘાયલ પણ થયા છે.
દેશભરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના ૨૬, આસામના ૨૩, પશ્ચિમ બંગાળના ૨૨, કેરળના ૧૪, ઉત્તરપ્રદેશના ૧૨, નાગાલેંડના ૧૧ અને ગુજરાતના ૧૦ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
જયારે પુર અને ભૂસ્ખલનથી ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને નિપટવા માટે NDRFની આસામમાં ૧૫, યુપી અને પશ્ચિમ બંગાળમાં ૮-૮ ટીમ, ગુજરાતમાં ૭, કેરળમાં ૪, મહારાષ્ટ્રમાં ૪ અને નાગાલેંડમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
કેરળમાં થયું ૮૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન
છેલ્લા કેટલાક દિવસથી કેરળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં પરિસ્થિતિ ખુબ વિકટ જોવા મળી રહી છે. કેરળમાં અત્યારસુધીમાં ૩૯ લોકોના મોત થયા છે જયારે ૮ હજાર કરોડ રૂપિયા કરતા વધુનું નુકશાન થયું છે.
કેરળમાં સામે આવેલી ગંભીર પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પૂરથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, “આઝાદ ભારતના ઇતિહાસમાં કેરળમાં આ પ્રકારનું પૂર ક્યારેય પણ આવ્યું નથી”.