વારાણસી
સોમવારે પોતાના મત વિસ્તારના બે દિવસીય પ્રવાસમાં નરેન્દ્ર મોદી પોતાનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં મનાવવાના છે. બર્થડેની રીટર્ન ગીફ્ટમાં તે આશરે કાશીમાં ૬૦૦ કરોડની યોજનાનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત સ્કુલના અને આર્થિક રીતે ગરીબ પરિવારના બાળકો સાથે પણ વાતચીત કરવાના છે.
ચાર વર્ષમાં વડાપ્રધાનની પોતાના મત વિસ્તારમાં આ ૧૪મી મુલાકાત છે. છેલ્લી યાત્રાઓમાં પણ મોદી જયારે વારાણસીમાં આવે છે ત્યારે કઈક ને કઈક ગીફ્ટ આપતા રહે છે. આ વખતની તેમની યાત્રા પણ કાશી માટે ખાસ માનવામાં આવી રહી છે. પ્રથમ વખત વડાપ્રધાન પોતાનો જન્મદિવસ બાબા વિશ્વનાથની નગરીમાં ઉજવશે. આ કાર્યક્રમમાં આર્થિક રીતે ગરીબ બાળકો અને સ્કુલના બાળકો હાજર રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ શહેરની મુલાકાત પણ લેશે.
જન્મદિવસ પર વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
- ૬૮માં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી ૧૯ કલાક પસાર કરશે.
- સોમવારે સાંજે પાંચ વાગ્યે બાબતપુર એરપોર્ટ પર ઉતરશે.
- વાયુ સેનાના વિમાન દ્વારા ડીરેકા જશે.
- ડીરેકામાં આશા કાર્યકરની બહેનો તેમનું સ્વાગત કરશે.
- ડીરેકામાં ૧૦ મિનીટમાં રોકાયા બાદ ત્યાંથી ૧૨ કિમી દૂર નરઉર ગામમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને મળશે.
- ત્યારબાદ ડીરેકાના ગેસ્ટહાઉસમાં રોકાશે અને આર્થિક રીતે કમજોર પરિવારના બાળકોને મળશે.
- મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યે એમ્ફીથીયેટર મેદાનમાં સભા કરશે. ત્યાં તે નવી યોજનાઓનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાનના જન્મદિવસ પર ૫ કેદીને આઝાદ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૮માં જન્મદિવસ પર સોમવારે ગોરખપુર જેલમાંથી ૫ કેદીને આઝાદ કરવામાં આવશે. ૬૮માં જન્મદિવસ હોવાથી સમગ્ર દેશમાંથી બીજા ૬૮ કેદીને પણ છોડી દેવામાં આવશે.