સાઉથમ્પ્ટન,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ હાર સાથે જ ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, ત્યારે હવે અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે.
રાહુલના સ્થાને પૃથ્વી શોને આપવામાં આવી શકે છે સ્થાન

રિપોર્ટમાં જણવ્યા મુજબ, ઈંગ્લેંડ સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ માટે અન્ડર – ૧૯ વર્લ્ડકપ ટીમના કેપ્ટન પૃથ્વી શોને સ્થાન આપવામાં આવી શકે છે. ઓવલ ટેસ્ટમાં શોને કે એલ રાહુલના સ્થાને સમાવેશ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેંડ સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન અને કે એલ રાહુલનું કંગાળ ફોર્મ યથાવત જ જોવા મળ્યું છે. આ જોતા આ બંને ઓપનર બેટ્સમેનનું બહાર થવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.
રાહુલે ૪ ટેસ્ટમાં બનાવ્યા ૧૧૩ રન

ઓપનર બેટ્સમેન કે એલ રાહુલની વાત કરવામાં આવે તો. અત્યારસુધીમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચની ૮ ઇનિંગ્સમાં રાહુલે માત્ર ૧૧૩ રન જ બનાવ્યા છે.
શાનદાર ફોર્મમાં છે પૃથ્વી શો

૧૮ વર્ષીય યુવા બેટ્સમેન પૃથ્વી શોની વાત કરવામાં આવે તો, હાલમાં તે પોતાના શાનદાર ફોર્મમાં છે. પૃથ્વી શોએ ઇન્ડિયા – Aની ટીમ તરફથી રમતા વેસ્ટ ઇન્ડીઝ – Aની સામે ૧૦૨ અને ૧૮૮ રન દક્ષિણ આફ્રિકા – Aની સામે ૧૩૬ રન ફટકાર્યા હતા.
