પાકિસ્તાનની નાપાક હરકતો છાસવારે સામે આવતી રહે છે. ત્યારે ભારત દ્વારા ક્યારેક તો સામે જવાબ મળવાનો જ છે. આ વખતે પણ ભારતે તેની આદત અનુસાર ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. ભારતમાં ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC અને AICTE એ તાજેતરમાં પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓને લઈને ચેતવણી જાહેર કરી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે જારી કરવામાં આવેલી આ સંયુક્ત એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની કોઈપણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ન લેવો જોઈએ. UGC અનુસાર પાકિસ્તાનથી ભણીને આવતા વિદ્યાર્થીઓ ભારતમાં નોકરી અને ઉચ્ચ શિક્ષણ માટે લાયક રહેશે નહીં.
UGC અને AICTEએ કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ન જવું જોઈએ. ટેકનિકલ, ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય કોઈપણ પ્રકારના અભ્યાસક્રમ માટે પાકિસ્તાન જતો ભારતીય વિદ્યાર્થી ભારતમાં નોકરી અથવા વધુ અભ્યાસ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
UGCએ તેની નવી એડવાઈઝરીમાં સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાન જતો ભારતીય વિદ્યાર્થી ભારતમાં નોકરી અથવા વધુ અભ્યાસ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે નહીં. જો કે આ નિયમ પાકિસ્તાનથી આવેલા એવા વ્યક્તિઓ પર લાગુ થશે નહીં જે પાકિસ્તાનના પ્રવાસીઓ છે અને તેમના બાળકો કે જેમને ભારત દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. પરંતુ તેઓને રોજગાર મેળવવા માટે ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી બાદ તેમને ભારતમાં રોજગાર માટે પાત્ર બનશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ UGC અને AICTE દ્વારા ચીની શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. દર વર્ષે જમ્મુ-કાશ્મીરના ઘણા વિદ્યાર્થીઓ પાકિસ્તાનની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. અત્યાર સુધી સેંકડો કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની ટેકનિકલ કોલેજોમાં એડમિશન લીધું છે. UGC અને AICTE દ્વારા કહેવું છે કે અપ્રમાણિત સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ મેળવેલી ડિગ્રી ભારતીય સંસ્થાઓની ડિગ્રીની સમકક્ષ નથી. આવી માન્યતા વિનાની સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવવા માટે મોટી રકમ ખર્ચ્યા પછી પણ આવા વિદ્યાર્થીઓને ભારતમાં નોકરીની તકો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાંથી અભ્યાસ કરી લે છે પરંતુ તેમને ભારતમાં નોકરી મળવામાં કે રોજગાર મળવામાં સમસ્યા થતી હોય છે. આથી ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે નહી તેથી UGC અને AICTE દ્વારા નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘યુદ્ધમાં કૂતરાનું કદ જોવામાં આવતું નથી, લડાઈ કેટલો સમય ચાલી તે મહત્વનું છે’ :બોરિસનું મનપસંદ નિવેદન