@ નિકુંજ પટેલ
West Bengal News: 55 દિવસથી ફરાર શાહજહાં શેખ હવે પોલીસની કસ્ટડીમાં છે. તેની 29 ફેબ્રુઆરીના રોજ ઉત્તર 24 પરગણા જીલ્લાના મિનાખા વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાંથી રાત્રે ઝડપી લેવાયો હતો. આ વિસ્તાર સંદેશખાલીથી માત્ર 30 કિમી. દૂર છે.
શાહજહાંએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે રદ્દ કરી દીધી હતી. કોર્ટે શાહજહાંના વકીલને કહ્યું કે તેની વિરૂધ્ધ પહેલાથી 42 કેસ દાખલ છે. તે ફરાર પણ હતો. જે પણ તમારે જોઈએ, તમે સોમવારે આવજો. અમને તેના માટે કોઈ સહાનુભૂતિ નથી.
પશ્ચિમ બંગાળમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) અંતર્ગત ઘઉં અને ચોખાનો સપ્લાય થવાનો હતો. ઈડીના જણાવ્યા મુજબ તેમાં અનાજ લોકોને ન આપીને બજારમાં ઉંચી કિંમતે વેચી દેવામાં આવ્યું હતું. અંદાજ છે કે, આ કૌભાંડ લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડમાં ટીએમસીના અનેક નેતાઓના નામ સામે આવ્યા છે. આવું જ એક નામ છે શાહજહાં શેખ.
5 જાન્યુઆરીએ ઈડીએ ઉત્તર 24 પરગણા જીલ્લાના સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે દરોડો પાડ્યો હતો. તેના સમર્થકોએ ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. જ્યારે શાહજહાં ફરાર થઈ ગયો હતો. મારઝૂડની ઘટનાઓ બાદ ઈડીએ શાહજહાં અને તેના સમર્થકો વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી.
ઘટનાના એક મહિના બાદ 8 ફેબ્રુઆરીના રોજ સંદેશખાલીની કેટલીક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સાથી શીબુ હજરા અને ઉત્તમ સરકાર પર વર્ષો સુધી સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા હતા. તેમની પર આરોપ છે કે મહિલાઓ અને છોકરીઓને અડધી રાત્રે શાહજહાં શેખ ગમે ત્યારે ઉઠાવી લેવડાવતો હતો. તે તેમને આખી રાત રાખતો હતો અને સવારે છોડી મૂકતો હતો. ટીએમસીની ઓફિસમાં કામને બહાને આ મહિલાઓને કેટલાય દિવસો સુધી બંધક બનાવીને રાખવામાં આવતી હતી.
13 ફેબ્રુઆરીએ કોલકાતા હાઈકોર્ટે પોતે સુઓ મોટો દાખલ કરી હતી. 26 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, શાહજહાંની ઈડી, સીબીઆઈ કે પોલીસ કોઈપણ ધરપકડ કરી શકે છે.
હાઈકોર્ટે શાહજહાંની જામીન અરજીની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળ પોલીસ તેની ધરપકડ કરે છે તો બની શકે છે કે મામલો ખૂબ જ નબળો પડી જાય. પોલીસે શાહજહાં શેખ વિરૂધ્ધ 11 કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમાં એક પણ કલમ બળાત્કારની કે ગેંગ રેપની નથી.
જે કલમો હેઠળ શાહજહાં પર ગુના દાખલ છે તેમાં તેને સાત વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. તેના નિર્ણયો, નિવેદનો, પોલીસની તપાસ, પુરાવા અને ચાર્જશીટને આધારે જ થશે. ફક્ત મૌખિક નિવેદનોથી કામ નહીં ચાલે. મજબૂત પુરાવા પણ રજૂ કરવા પડશે. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલવાથી લઈને સજામાં ઘણા વર્ષો નીકળી જઈ શકે છે.
આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ
આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…
આ પણ વાંચો: Cadila MD Case/ કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસમાં યુવતી સમરી રીપોર્ટ સામે ઉઠાવી શકે છે વાંધો, કોર્ટ પાસે સમરી રીપોર્ટની માંગી કોપી