કેન્દ્ર સરકારે લાલુ યાદવની સુરક્ષામાં ઘટાડો કર્યો છે, ત્યારે બિહારમાં રાજકારણ ગરમાયું છે. સિક્યોરિટી ઘટાડવા અંગે સવાલ પૂછવામાં આવતાં લાલુના મોટા પુત્ર અને પૂર્વ હેલ્થ મિનિસ્ટર તેજપ્રતાપ યાદવે વડાપ્રધાન મોદીને ખુલ્લેઆમ ધમકી આપી છે. વિધાનસભા કેમ્પસમાં તેઓએ મીડિયાને કહ્યું કે, “મોદીની ચામડી ઉતરાવી નાખીશું.”
‘કંઈ અઘટીત થયું તો મોદી હશે જવાબદાર’
– તેજપ્રતાપે કહ્યું કે, “મારા પિતા લાલુ યાદવની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્રને કારણે જ તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમે અનેક કાર્યક્રમો કરીએ છીએ અને તેમાં લાલુ યાદવ પણ ઉપસ્થિત રહે છે.”
– તેજપ્રતાપે વધુમાં કહ્યું કે, “જો કંઈ અઘટીત થયું તો તેના માટે માત્ર નરેન્દ્ર મોદી જ જવાબદાર હશે. લાલુની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમે ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપીશું.”
શું છે મામલો?
– કેન્દ્ર સરકારે RJD પ્રેસિડન્ટ લાલુ પ્રસાદ યાદવ અને રાજ્યસભાના સાંસદ શરદ યાદવની સિક્યોરિટીમાં ઘટાડો કરી દીધો છે, જ્યારે કે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને મળેલી ઝેડ પ્લસ સિક્યોરિટી પણ હટાવવામાં આવી છે.
– લાલુની સિક્યોરિટી ઝેડ પ્લસ કેટેગરીમાંથી ઘટાડીને ઝેડ કરવામાં આવી છે.
– ઝેડ પ્લસ કેટેગરીમાં 10 NSG કમાન્ડો અને પોલીસ સહિત 55 સિક્યોરિટી મેમ્બર્સ હોય છે. જ્યારે કે ઝેડ કેટેગરીમાં 22 સિક્યોરિટી ગાર્ડસ તૈનાત હોય છે, જેમાં 4-5 NSG કમાન્ડો હોય છે.
