દિલ્લી,
સંસદ દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એમેન્ડમેન્ટ બીલ ૨૦૧૮ને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. સંસદ ઉપલાગૃહ રાજ્યસભામાં ગુરુવારે પહેલાના ગ્રેજ્યુઈટી એમેન્ડમેન્ટ બીલમાં સુધારો કરતા હવે કર્મચારીઓને મળવાપાત્ર ટેક્સ ફ્રીની રકમને વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. જે આ પહેલા ૧૦ લાખ રૂપિયા હતી.
મહત્વનું છે કે, આ પહેલા લોકસભામાં આ બીલને મંજૂરી આપવામાં આવી ચૂકી છે ત્યારે હવે સસંદના બંને ગૃહોમાં પસાર થયા બાદ આ બીલને મંજૂરી આપ્યા બાદ કર્મચારીઓને મહત્તમ ફાયદો થશે.
આ કર્મચારીઓને મળશે ફાયદો
તાજેતરમાં ૧૦ થી વધુ વ્યક્તિઓ નિયુક્ત કરતી સંસ્થાઓ માટે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી અમેંડમેન્ટ બીલ ૧૯૭૨ લાગુ કરવામાં આવ્યું છે. આ બીલમાં ફેકટરીઓ, ખાણો, પેટ્રોલિયમ પેદાશો સાથે સંકળાયેલી કંપનીઓ, રેલ કંપનીઓ તેમજ દુકાનોમાં કામ કરવાવાળા કર્મચારીઓ શામેલ છે જેઓએ કોઈ એક કંપનીમાં નિયમિત ૫ વર્ષથી વધુની સેવા પ્રદાન કરી છે.
આ પહેલા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટના એક્ટની કલમ ૪ મુજબ, ગ્રેજ્યુઇટીની મહત્તમ સીમા ૨૦૧૦માં ૧૦ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જે હવે વધારીને ૨૦ લાખ કરવામાં આવી છે.
સંસદમાં હવે આ નવું ગ્રેજ્યુઈટી એમેન્ડમેન્ટ બીલ પાસ થયા બાદ પ્રાઈવેટ સેક્ટર તેમજ સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ગ્રેજ્યુઈટીની મહત્તમ સીમાનો ફાયદો મળશે.
સરકાર નક્કી કરશે મેટરનિટી લીવ :
આ ઉપરાંત ગ્રેજ્યુઇટી એમેંડમેન્ટ બીલ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર હવે કોઈ પણ કર્મચારીને કેટલી મેટરનિટી લીવ આપવી એ પણ નક્કી કરી શકશે. આ પહેલા મેટરનિટી બેનિફિટ એમેંડમેન્ટ એક્ટ ૨૦૧૭ મુજબ, કર્મચારીઓને આપતી મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારી ૨૬ સપ્તાહ કરવામાં આવી હતી. જયારે હવે આ બીલ પાસ થયા બાદ સરકાર મહત્તમ મેટરનિટી લીવની સંખ્યા નક્કી કરી શકાશે.
