રાંચી,
ઝારખંડમાં ડૉક્ટરોની એટલી ભયાનક નિર્લજ્જતા સામે આવી છે કે જે સાંભળ્યા પછી તમને તબીબો પરથી વિશ્વાસ ઉઠી જશે. આ તબીબોએ માનવતાની હદ વટાવીને પૈસા માટે તેમણે એક માતાના ગર્ભમાં રહેલ બાળકનું ખોટી રીતે લિંગ પરીક્ષણ કર્યું અને પેટમાં બાળકી હોવાનું જણાવ્યું. જો કે માતાને દીકરો અવતરતાં પોતાની ભૂલ છૂપાવવા માટે ડૉક્ટરોએ બાળકનું લિંગ જ કાપી નાખ્યું હતું.
તબીબોના આ પાપને કારણે નવજાત શિશુનું મૃત્યુ થયું. શિશુના માતા-પિતાએ ડૉક્ટર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને ગંભીરતાથી લઇ સ્વાસ્થ્ય સચિવે તપાસની સાથે ચિકિત્સકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના નિર્દેશ જાહેર કર્યો છે.
ઝારખંડના ચતરા જિલ્લાના ઇટખોરી બ્લોકના ઓમ ક્લીનિકમાં તબીબોના પાપને કારણે નવજાત શિશુનું મૃત્યુ થયું હતું. મંગળવારે રાત્રે આઠ મહિનાની ગર્ભવતી જય પ્રકાશ નગર નિવાસી ગુડિયા દેવી 110 કિમી દૂર ચેકઅપ માટે હોસ્પિટલે આવી હતી. જ્યાં ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ તો બનાવ્યો હતો પણ તે ખોટો નીકળતાં એવી નીચ હરકત કરી જેનાથી માણસાઇ પરથી ભરોસો ઉડી જાય.
આ ગંભીર મામલા અંગે કેસ દાખલ થતાં પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસા પડાવવા માટે જ ડૉક્ટરોએ બોગસ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ બનાવ્યો હતો. રિપોર્ટમાં દીકરી હોવાની વાત કહી. પરંતુ ડિલિવરી દરમિયાન દીકરો અવતર્યો હતો. ત્યારે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ બોગસ છે તે છતું ન થાય તે માટે તબીબોએ નવજાતનું લિંગ જ કાપી નાખ્યું. બાદમાં ડૉક્ટરોએ માતાને કહ્યું કે, એક વિકૃત છોકરીનો જન્મ થયો છે, જે જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામી.
તબીબીનો આ જવાબથી અસંતુષ્ટ મા-બાપે બુધવારે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ ક્લિનિક પર પહોંચી ત્યારે ડૉક્ટર ક્લીનીકમાંથી ગાયબ થઇ ગયા હતા. મા-બાપની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડૉક્ટરો વિરુદ્ધ આપીસીની ધારા 302 અંતર્ગત કેસ દાખલ કર્યો. ડૉક્ટરોની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના સ્વાસ્થ્ય સચિવ નિધિ ખરેએ સિવિલ સર્જનને બંને આરોપી ચિકિત્સકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપતાં કહ્યું કે, એમની વિરુદ્ધ ક્લિનિકલ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, પીસીપીએનડીસી એક્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે.
નિધિ ખરેએ કહ્યું કે, આ બહુ ભયાનક ગુનો છે. ચિકિત્સકો વિરુદ્ધ આકરી કાર્યવાહીનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં લિંગ તપાસ કરનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થશે.
