અમેરિકી સેનાના ગયા પછી કટોકટીમાં મુકાયેલા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની આજે જાહેરાત કરવામાં આવશે. તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા બરાદર આ સરકારનું નેતૃત્વ કરશે. જોકે શુક્રવારે નવી સરકારની રચના થવાની હતી, પરંતુ તેને એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે નવી સરકારની રચના શનિવારે જાહેર કરવામાં આવશે.
તાલિબાન સૂત્રોએ કહ્યું કે દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદારની સરકારના વડા તરીકે નિમણૂક અંગે જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મુલ્લા બરદારની સાથે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્રો મુલ્લા મોહમ્મદ યાકુબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેંકઝાઈની પણ સરકારમાં મહત્વની ભૂમિકા રહેશે. તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઈનામુલ્લા સામંગાનીએ જણાવ્યું હતું કે તમામ ટોચના નેતાઓ કાબુલ પહોંચી ગયા છે અને નવી સરકારની જાહેરાત માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સરકારની રચના અંગે પરસ્પર સમજૂતી થઈ છે, અને હવે મંત્રીમંડળને લઈને કેટલીક જરૂરી વાટાઘાટો થઈ રહી છે.
તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જૂથના સર્વોચ્ચ નેતા હૈબતુલ્લા અખુંદઝાદા ધાર્મિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ઇસ્લામના ક્ષેત્રમાં ઈરાનની તર્જ પર રાજનીતિનું નિર્માણ કરશે. વર્તમાન માહિતી મુજબ તાલિબાનની નવી સરકારમાં 25 મંત્રીઓ સાથે 12 મુસ્લિમ વિદ્વાનોની સૂરા અથવા સલાહકાર પરિષદ હશે.છ થી આઠ મહિનાની અંદર લોયા જિરગા અથવા સામાન્ય સભા બોલાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે બંધારણ અને ભાવિ સરકારના બંધારણ પર ચર્ચા કરવા માટે અફઘાન સમાજના વડીલો અને પ્રતિનિધિઓને સાથે લાવશે.
