કર્ણાટક પોલીસે લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરુગાની ધરપકડ કરી છે. અગાઉ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. મુરુગા પર સગીરોનું યૌન શોષણ કરવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે મુરુગા લિંગાયત મઠ ખૂબ જ પ્રખ્યાત મઠ છે. મઠના સંત શિવમૂર્તિ મુરુગા પર સગીરોનું યૌન શોષણ કરવાનો આરોપ છે. બે સગીરોની ફરિયાદ બાદ મૈસુર પોલીસે સંત વિરુદ્ધ FIR નોંધી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો છે.
હાલ, મુરુગાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. સગીરો દ્વારા તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ પણ આ જ દલીલોના આધારે તેમની પૂછપરછ કરવા જઈ રહી છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે શિવમૂર્તિ મુરુગા તેમના મઠમાંથી ભાગી ગયા હતા, પરંતુ બાદમાં પોલીસે જણાવ્યું કે તેઓ કાયદાકીય સલાહ લેવા માટે તેમના વકીલને મળવા જઈ રહ્યા હતા.
આ મામલામાં મોટી વાત એ છે કે જે બે સગીરોએ મુરુગા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે, તે બંને મઠ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે. આ પીડિતો એક NGOની મદદથી ફરિયાદ કરવા માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ પાસે પહોંચી હતી. આ કેસમાં શિવમૂર્તિ મુરુગા ઉપરાંત ચાર વોર્ડન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
