Kanhaiyalal murder: રાજસ્થાનના ઉદયપુરમાં જૂન મહિનામાં કન્હૈયાલાલ નામના દરજીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે મુખ્ય હુમલાખોરો મોહમ્મદ રિયાઝ અત્રી અને મોહમ્મદ ગૌસ સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બે પાકિસ્તાની નાગરિકોના નામ પણ છે. નોંધનીય છે કે 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં સુપ્રીમ ટેલર્સના માલિક કન્હૈયાલાલનું તીક્ષ્ણ હથિયારથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝ મોહમ્મદની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હત્યા બાદ બંને આરોપીઓએ અનેક વીડિયો પણ વાયરલ કર્યા હતા. એક લાઈવ હતો અને બે વીડિયોમાં તે ગુનાની કબૂલાત કરતો જોવા મળ્યો હતો. રાજસમંદ પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ જ બંનેને હાઈવે પરથી પકડી લીધા હતા.કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરી રહેલી NIAએ હત્યાના મુખ્ય આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝના બે સાથી મોસીન અને આસિફની પણ ધરપકડ કરી હતી. બંનેએ NIA ટીમને કહ્યું હતું કે હત્યા બાદ મોહમ્મદ ગૌસ અને રિયાઝને સલામત માર્ગ આપવા માટે બેકઅપ પ્લાન પણ તૈયાર હતું. આ બેકઅપ પ્લાનમાં ત્રણ લોકો સામેલ હતા. પ્લાન મુજબ મોસીન અને તેનો સાગરિત આસિફ કન્હૈયાલાલની દુકાનથી થોડે દૂર ઉભા હતા. નજીકમાં સ્કૂટી પર તેનો અન્ય એક સાથી હાજર હતો. મોસીન અને આસિફે તપાસ ટીમને જણાવ્યું કે તેમની યોજના એવી હતી કે જો કન્હૈયાલાલની હત્યા બાદ ગૌસ અને રિયાઝ કોઈ કારણસર પકડાઈ જાય તો તેમને ત્યાંથી બહાર કાઢવાનું કામ ત્રણેયનું હતું. તેમની પાસે ખંજર પણ હતા અને તેઓ ભીડ પર હુમલો કરીને તેમને બચાવી લેતા. આ મામલે એનઆઇએ ખુબ સઘન તપાસ કરી હતી અને ચાર્ડશીટ દાખલ કરી છે.
