Gujarat News: શ્રાવણથી આસો મહિના સુધી ગુજરાતમાં (Gujarat) અને દેશભરમાં વિવિધ તહેવારો (Festivals) હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ ગણેશ ચતુર્થીને (Ganesh Chaturthi) હવે જૂજ દિવસો બાકી રહ્યાં છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં, દુકાનમાં કે પંડાલમાં ગણેશ સ્થાપન કરવા ગણેશજીની મૂર્તિઓનું (Ganesh Idol) બુકિંગ કરાવવા લાગ્યા છે. આ વર્ષે અયોધ્યા રામ મંદિરના રામલલ્લાની ઝાંખી ધરાવતા ગણેશજીની મૂર્તિ લેવાની લોકોમાં ઘેલછા લાગી છે.

ગુજરાતના બજારોમાં બંગાળથી ગણેશજીની મૂર્તિ બનાવવા કારીગરો આવે છે. રાજકોટમાં એક કારીગરનું કહેવું છે કે ભગવાન રામલલ્લાના સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. આ મૂર્તિની કિંમત અંદાજે 25000 આંકવામાં આવી છે. સામાન્ રીતે 7 ફૂટની મૂર્તિ બનાવવામાં અંદાજે 20 દિવસનો સમય લાગે છે. ગણેશ મહોત્સવની તૈયારીઓ પંડાલમાં આયોજન કરવા જૂન મહિનાથી શરૂ કરી દેવામાં આવે છે. કુલ 15થી 20 લોકો બંગાળથી આવી અહીં રાજકોટમાં મૂર્તિ બનાવે છે.

આ વર્ષે કાચા માલમાં મોંઘવારી આવી જેના કારણે મૂર્તિના ભાવો પણ વધ્યા છે. આ મૂર્તિ 600 રૂપિયાથી 60,000 સુધીમાં બજારમાં વેચાય છે. આ વખતે રામ ભગવાન જેવા ગણેશજીની મૂર્તિ બનાવવા સૌ પ્રથમ સ્ટ્રક્ચર ઉભું કરવા માટે લાકડું, પ્લાય, વાંસ, ઘાંસ ઉપયોગ કરવામાં આવે છે. બાદમાં સુતરથી વીંટી ગણેશની મૂર્તિનું શરીર તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ માટીનો ઉપયોગ કરી હાથેથી આખી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. છેલ્લે ફિનિસિંગ કરી કલર કરવામાં આવે છે.

આ વર્ષે રાજકોટ શહેરમાં અંદાજીત 4000 જેટલા વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. હાલ રાજકોટના બજારોમાં રામલલ્લા સ્વરૂપ, સિંહાસન પર બિરાજમાન ગણપતિ, મોરપીંછ આસન પર બેઠા હોય તેવા, શેષનાગ, લાલબાગ કા રાજા, ઘોડા ઉપર ગણપતિ, ઉંદર ઉપર ગણપતિ, બાલ સ્વરૂપમાં, શિવલિંગની પૂજા કરતા, કૃષ્ણના સ્વરૂપમાં ગણેશજીનાં દર્શન કરવા મળશે.
આ પણ વાંચો:ભારતીય રેલ્વે ગણેશ ચતુર્થીના અવસરે દોડાવશે 300થી વધુ સ્પેશિયલ ટ્રેન
આ પણ વાંચો:ગણેશોત્સવમાં મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી અપાશે
આ પણ વાંચો:ગણેશ મહોત્સવમાં સ્થાપનાથી વિસર્જન દરમિયાન તકેદારી અંગે પોલીસ કમિશનરનું જાહેરનામુ
