Gujarat News : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ રાજ્યના કપાસ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. કપાસની ચાલુ સિઝનમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા નક્કી કરેલા ન્યૂનતમ ટેકાના ભાવે(MSP) કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો ખેડૂતોને રાહત મળશે.
અમદાવાદની શાખામાં 30 ખરીદ કેન્દ્રો શરૂ
ખેડૂતોની સુવિધા માટે અમદાવાદની શાખા હેઠળ આવતા 11 જિલ્લાઓમાં કુલ 30 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો કપાસ લાવીને સરકારી નિર્ધારિત ભાવે વેચી શકશે.
‘કોટ-એલી’ એપ્લિકેશન દ્વારા મળશે માહિતી
ખેડૂતોને કપાસની ખરીદી અંગેની તમામ માહિતી ‘કોટ-એલી’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મળશે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રની વિગતો, ખરીદીની પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી મેળવી શકશે.
કપાસની ગુણવત્તા
કપાસની ગુણવત્તા જાળવવા માટે ભેજનું પ્રમાણ મહત્વનું છે. CCIએ ખેડૂતોને સૂકાયેલો કપાસ લાવવાની અપીલ કરી છે. જો કપાસમાં ભેજનું પ્રમાણ 8%થી વધુ હોય તો ન્યૂનતમ ટેકાના ભાવે(MSP) મળતી રકમમાંથી કપાત કરવામાં આવશે. જો ભેજનું પ્રમાણ 12%થી વધુ હોય તો કપાસ ખરીદવામાં આવશે નહીં. આ યોજનાથી કપાસના ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળશે. ખેડૂતોને આ અંગે વધુ માહિતી માટે CCIની અમદાવાદ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.
