Sports News : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં 53 %નો વધારો કર્યો છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને 2.4 મિલિયન US ડોલર એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયા મળશે.
મેચો પાકિસ્તાન-દુબઈમાં યોજાશે
આ ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. ભારતે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ICC એ ભારતની મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો. ભારત આ ટુર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત ટુર્નામેન્ટ માટે ગ્રુપ A માં છે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.
રનર-અપ ટીમને 9.72 કરોડ રૂપિયા મળશે
વિજેતાઓ ઉપરાંત, રનર-અપ ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.72 કરોડ) મળશે, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બંને ટીમોને $56,000 (રૂ. 4.86 કરોડ) મળશે. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ વધીને 6.9 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ICCના ચેરમેન જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નોંધપાત્ર ઇનામ રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી ઇવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટેની ICCની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
બીજી ટીમોને કેટલા પૈસા મળશે?
ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને $34,000 (રૂ. 30 લાખ) ની ઈનામી રકમ મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને $350,000 (લગભગ રૂ. 3 કરોડ) મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને $140,000 (લગભગ રૂ. 1.2 કરોડ) મળશે. આ ઉપરાંત, આ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને $125000 (લગભગ રૂ. 1.08) કરોડની રકમ આપવામાં આવશે.
ભારત સમયપત્રક
ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો લીગ સ્ટેજ મેચ રમશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચ પછી, ટીમ ઈન્ડિયાને સાત દિવસનો આરામ મળશે. આ પછી, ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ભારતે છેલ્લે 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. 2002 માં વરસાદને કારણે ફાઇનલ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા. ભારતીય ટીમ કુલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે. ૨૦૧૩ અને ૨૦૦૨ સિવાય, ૨૦૦૦ અને ૨૦૧૭માં પણ આવું બન્યું હતું.
પાકિસ્તાનમાં યોજાનારી મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ICC પ્રમુખ શાહે કહ્યું કે, ICC મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુર્નામેન્ટ ODI માં શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે પુનરાગમન કરી રહી છે અને દરેક મેચ મહત્વપૂર્ણ છે.
પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી 2009 થી 2017 સુધી દર ચાર વર્ષે યોજાતી હતી, પરંતુ કોવિડ અને તેની સુસંગતતા અંગે પ્રશ્નો ઉભા થવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 1998 માં શરૂ થઈ હતી અને ત્યારબાદ દર બે વર્ષે યોજાતી હતી.
આ પણ વાંચો: ICC એ કરી મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શિખર ધવનને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી
આ પણ વાંચો: ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી, આ ખેલાડીઓ મેચમાં હીરો બન્યા
આ પણ વાંચો: અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ
