Ahmedabad News: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની આવકનો સ્ત્રોત જ કૌભાંડ છે. તેના આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવા પ્રકારની છે કે તે ફ્રી મેડિકલ કેમ્પ યોજે છે અને મુખ્યત્વે 50થી વધુ વયના અને મા કે આયુષ્યમાન કાર્ડ ધરાવનારાઓને લક્ષ્યાંક બનાવીને તેમના જરૂર ન હોય તો પણ ઓપરેશન કરી નાખે છે. હવે ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે.
બે વર્ષ અગાઉ ગાંધીનગર જિલ્લાના શેરથામાં પણ ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજીને નવેક દર્દીઓની બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. અહીં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છેકે, દર્દીઓને અંધારામાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે તેવી જાણ થતાં જ ચારેક દર્દીઓને તો સારવાર કરાવી જ નથી તેમ કહીને ભાગી છૂટયા હતાં. 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા સિવાય દર્દીઓને રજા આપી દેવાઈ હતી, આ દર્દીઓને જતાં બસમાં લઈ જવાયા હતા અને વળતા આવવાની કોઈ સગવડ કરાઈ ન હતી. તેઓ રીક્ષા ભાડે કરી દર્દીઓ શેરથા પહોંચ્યાં હતા આ અંગે એવી વિગતો જાણવા મળી છેકે, 26 મી નવેમ્બર, 2022ના રોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજ્યો હતો અને નવ દર્દીઓની તેમની જાણબહાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી.
જોકે, સ્ટેન્ટ નંખાયા પછી પણ મારા પિતાને છાતીમાં દુખાવો થતો હતો. એક દિવસ અચાનક વધુ દુખાવો થતાં ગાંધીનગર સિવીલમાં લવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ સિવાય જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ ન હતું તેવા દર્દીઓએ તો સારવાર કરાવવાની જ નથી તેવું સ્પષ્ટ કહી દીધુ. એટલુ જ નહીં. આ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતાં. આખરે નવેક દર્દીઓની એજિપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હોવાનો આક્ષેપ શેરથાના ગ્રામજને કર્યો છે.
ખ્યાતિ હોસ્પિટલની મોડસ ઓપરેન્ડી : એક ગામમાં એક જ વખત ફ્રી કેમ્પ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોનો એક જ હેતુ હતોકે, પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓને જાણ બહાર સારવાર કરો, નાણાં મેળવો. દર્દીઓના જીવ સાથે ખેલ થઈ રહ્યો છે તે વિશે ગ્રામજનોને જાણ ન થાય તે માટે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એક ગામમાં એક જ વખત ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવતો હતો. એક ગામમાંજ જેટલાં દર્દીઓ મળે તેની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરીને નાણાં કમાઇ લેવાના અને બીજા ગામમાંથી દર્દીઓની શોધખોળ કરવાની.
ખ્યાતિ પીએમજેવાયએ યોજનાનું ઓડિટ થયુ હોત
પીએમજેવાયએ યોજના હોસ્પિટલ માટે કમાણીની યોજના બની રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં તો રોજરોજ એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીના કલેઈમો કરવામાં આવતા હતાં. આ ઉપરાંત આ જ ખ્યાતિ હોસ્પિટલમાં ગેરરીતી થતાં આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી તેમ છતાં કયા ધારાધોરણ આધારે ફરીથી સામેલ કરવામાં આવી તે સવાલ છે.આ ઉપરાંત રાજ્ય આરોગ્ય વિભાગે જો ખ્યાતિ હોસ્પિટલનું સમયસર ઓડિટ કર્યુ હોત તો નિર્દોષ દર્દીઓનો ભોગ લેવાયો ન હોત… ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન | કરવામાં આવ્યુ હતું. આ મામલે શેરથા ગામનાં જતીનભાઈ પટેલે કહ્યુંકે, એ દિવસે ૧૭ જણાંને બસમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતાં. મારા પિતાની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું. જાણીને નવાઈ લાગે તેવી વાત એ હતીકે, જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ ન હતું તે બધાયને સારવાર વિના ઘેર મોકલી દેવાયા હતાં.
ફ્રી-મેડિકલ કેમ્પનું બહાનું
બે વર્ષ અગાઉ આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા દર્દીઓને ફ્રી કેમ્પ માટે ખ્યાતિ હોસ્પિટલના એક ડાયરેક્ટરની પણ ભૂમિકા હતી. ખ્યાતિ હોસ્પિટલના એક ડાયરેક્ટર પણ અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો-રાજકીય નેતાઓના સતત સંપર્કમાં રહેતાં હતાં. તેઓ મારે ગરીબ લોકોનું ભલુ કરવું છે . અમારી હોસ્પિટલમાં મોટા ડોક્ટરો છે. ખાસ કરીને હૃદયરોગમાં એકપણ પેસો લીધા વિના સારવાર થશે તેવી વાતો કરીને ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હતાં.
આ પણ વાંચો: ખ્યાતિના માલિક કાર્તિક પટેલ છે કૌભાંડી, પ્લોટની સ્કીમ કરી કરોડોનું કરી નાખ્યું
આ પણ વાંચો: ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટીના ‘ઓપરેશન’ સ્કેમમાં મિલન પટેલના સ્વરૂપમાં ફૂટ્યો નવો ફણગો
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોર્ટે ડૉ. પ્રશાંતના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર