કોંગ્રેસને નડ્યો અને ભાજપને ફળ્યો જેવી વાતો કરવાને બદલે પ્રજાને મજબૂત અવાજ મળ્યો જે ભવિષ્યમાં સાચા અર્થમાં બુલંદ બની શકે છે.
‘આપ’ને કોઈ પક્ષની બી ટીમ ગણવાનું વલણ યોગ્ય નથી
ગુજરાતના મહાનગરો બાદ નગરો અને ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સૌ પોત પોતાની રીતે તેને મૂલવી રહ્યા છે. રાજકારણીઓ પોતાના રાજકીય ચશ્માથી મૂલવે છે તો રાજકીય ભક્તો પછી ભલે તે ગમે તે પક્ષના શૂભેચ્છકો હોય તે પોતાની દ્રષ્ટિથી અને હેસિયત પ્રમાણે મૂલવે છે. મતદારો કે જેમાંની મોટાભાગના તમામ પ્રકારના પરીબળોને ઓળખે છે તેઓ પોતાની ધારણા મુજબનું પરિણામ નથી ગણતા રાષ્ટ્રવાદી અને લોકશાહીવાદી લોકો આ એક તરફી પરિણામ લોકશાહી અને રાષ્ટ્ર મહાનગર નગર અને ગામડાઓ માટે ખતરનાક હોવાનું કહે છે.

લોકશાહીમાં લોકો માટે અવાજ ઉઠાવનારા પણ દરેક સ્થળે હોવા જોઈએ આ પરિણામોએ ઘણી સ્થાનિક સંસ્થાઓ એવી ચૂંટાઈ છે કે જેમાં લોકો માટે અવાજ ઉઠાવનારાઓને શોધવા પડે તેવી હાલત છે. આ સારી સ્થિતિ તો કોઈ સંજોગોમાં ન કહી શકાય. કોઈ સ્થળે લોકોના અવાજ ઉઠાવનારો ન હોય અથવા લોકશાહીમાં જેને વિપક્ષ કહેવામાં આવે છે તે ન હોય તો શાસક પક્ષ બેફામ બને છે અને શાસક પક્ષના નેતાઓ એવું માનતા પણ થઈ જાય છે કે તેમને ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિત તમામ બાબતો અંગે પીળો પરવાનો મળી ગયો છે. જો કે ભલે છ મહાનગરો પૈકી એકમાં હાજરી ન પૂરાવનાર કોંગ્રેસે પાંચ નગરોમાં માત્ર હાજરી પૂરાવવા પૂરતીજ બેઠકો મેળવી છે.

તો જિલ્લા પંચાયતો પૈકી 18થી વધુ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ સિંગલ ડિજીટમાં પહોંચી શકી નથી. કેટલાક નગરો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી. જો કે આ બધી સ્થિતિ વચ્ચે લોકોને મહાનગરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં એક વધુ વિકલ્પ પણ મળ્યો છે.
આ મજબૂત વિકલ્પ છે આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો અને 26 ટકા મત તો રાજકોટમાં ભલે ખાતું ન ખુલ્યું પણ 10 ટકા મત મળ્યા અમદાવાદમાં 12 ટકાથી વધુ મત અને બાકીનાં નગરોમાં 6 ટકાથી વધુ મત મળ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ‘આપ’ને એકપણ બેઠક આવવા નહિ દઈએ તેવો દાવો શાસક પક્ષના મોભીઓ દ્વારા કરવામાં આવેલો અને નિષ્ણાંતો કહે છે તે પ્રમાણે કોંગ્રેસ નહિ પરંતુ ‘આપ’ ન જીતે તે પ્રમાણે વ્યુહરચના ગોઠવી હતી છતાં તેમાં સો ટકા ફાવ્યા નથી અને આમ આદમી પાર્ટીએ મહાનગરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રથમવાર લડનાર પક્ષ ભૂતકાળમાં જે દેખાવ નહોતો કરી શક્યો તેવો દેખાવ આ વખતે આમ આદમી પાર્ટીએ કર્યો છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતમાં બે, નગરપાલિકાઓમાં 12 અને તાલુકા પંચાયતોમાં 31 બેઠકો મેળવી છે. જિલ્લા પંચાયતોની અન્ય 20 બેઠકો પર તે બીજા કે ત્રીજા સ્થાને છે અને બાકીની ઘણી બેઠકો પર નોંધપાત્ર મતો મેળવ્યા છે નગરોમાં ધારી સફળતા મળી નથી બાકી તાલુકા પંચાયતોમાં પણ એન્ટ્રી મેળવી છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા, તાલુકા અને નગરોમાં જે બેઠકો લડી છે તેના પ્રમાણમાં તેને મળેલા મતોની ટકાવારી 8 થી 9 ટકાની તો છે જ. જે પ્રથમ વાર લડતા પક્ષ માટે જરાય ઓછી ન કહેવાય.

ભૂતકાળમાં એટલે કે 2012માં ધારાસભાની ચૂંટણી લડનાર કેશુબાપા અને ગોરધનભાઈ ઝડફીયા, કોટડીયા જેવા ધરખમ આગેવાનો અને મજબૂત પટેલ પાવર હોવાના દાવા વાળી પાર્ટીને 2012માં બે વિધાન સભા બેઠકો અને તે પણ વ્યક્તિગત ધોરણે જીતાયેલી અને 9 ટકા મત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. આના પહેલાની મહાગુજરાત જનતા પાર્ટી અને શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાને પણ ધારણા મુજબ સફળતા મળી નહોતી તેના કેટલાક આગેવાનો પોતાની વ્યકિતગત લોકપ્રિયતાના કારણે વિધાન સભામાં પ્રવેશ કરવામાં સફળ થયા હતા. તેના પ્રમાણમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાત કક્ષાએ કોઈ મોટો ચહેરો નથી જો કે દિલ્હીથી આવેલા આગેવાનો દ્વારા દિલ્હી મોડલનો જે પ્રચાર થયો અને નવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરેલ આમ આદમી પાર્ટીએ મેળવેલી સફળતાની નોંધ તો બધાને લેવી પડી છે.

શાસક પક્ષના આગેવાનો પહેલા ‘આપ’ને ગણતાજ નહોતા પણ ચૂંટણી પરિણામો બાદ ‘આપ’ની સફળતાથી અકળાઈ કુતરા, બિલાડા, સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા શબ્દો વાપરતા થઈ ગયા છે. શાસક પક્ષના કેટલાક નેતાઓ બીલાડીના ટોપની સાથે સરખાવતા થઈ ગયા છે. તો કોંગ્રેસના રાજકોટ સહિત કેટલાક પરિણામોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસને આમ આદમી પાર્ટી પોતાને નડી ગઈ હોવાનું કહેતા થઈ ગયા છે.
આ આગેવાનો કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ઘણી બેઠકો પર મળેલા મતોનો સરવાળો કરો તો ભાજપના વિજેતા કરતા વધી જાય છે. વાત સાચી છે પણ કોંગ્રેસના મતો આમ આદમી પાર્ટી ખેંચી શા માટે ગઈ તે માટે આત્મમંથન તો કોંગ્રેસેજ કરવું પડશે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના રકાસ માટે જવાબદાર છે તેવું ઘણા કહે છે. ઘણા વિશ્ર્લેષકો કોંગ્રેસના ઘટેલા મતો અને આમ આદમી પાર્ટીને મળેલા સરેરાશ મતો 8 ટકા આસપાસ છે. તે બાબત સાચી માનીએ તો આમ આદમી પાર્ટી અમૂક સ્થળે કોંગ્રેસને નડી છે.
![]()
મહાનગરોની વાત કરીએ તો સુરતમાં ‘આપ’ને મળેલી 14 બેઠકો કોંગ્રેસની પાસેથી આંચકેલી પાટીદારોના પ્રભુત્વવાળી અને પાસના ટેકેદારોએ કરેલી મદદનું પરિણામ છે. પણ બાકીની 13 બેઠકો તો પાટીદારોની ઓછી વસ્તિ વાળા અને છતાંય ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં મેળવી છે તેનું શું? જિલ્લા પંચાયતની જે બે બેઠકો ભાવનગરના અલંગ અને અમરેલીનાં ધારી તાલુકામાં મળી છે તે પૈકી અલંગ તો પંચરંગી વિસ્તાર છે અને છેક 1995 થી આ બેઠક ભાજપ પાસે જ છે આ વિસ્તાર ભાજપનો ગઢ છે છતાં ત્યાંથી જિલ્લા પંચાયતમાં ‘આપ’ના ક્ષત્રિય ઉમેદવાર જીત્યા છે અને તાલુકા પંચાયતની બે બેઠકો અંકે કરી છે. જ્યારે અમરેલી જિલ્લાની જે બેઠક ‘આપ’ને મળી તે ભલે પચરંગી નથી પણ પાટીદારોના સો ટકા પ્રભુત્વ વાળી બેઠક નથી છતાંય ‘આપ’ જીત્યું છે.

‘આપ’ માટે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પ્રથમવારના પ્રવેશ બાદ જે સફળતા મળી તેનો આનંદ બેવડાંય તેવા સમાચારો દિલ્હીમાંથી મળ્યા છે દિલ્હી નગર નિગમની જે પાંચ બેઠકોની પેટા ચૂંટણી હતી તેમાંથી ચાર બેઠકો આમ આદમી પાર્ટીને અને એક બેઠક કોંગ્રેસને મળી છે. જેમ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસનું ખાતું ખુલ્યુ નહોતું તેવી રીતે દિલ્હી નગરનિગમની પેટા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. જ્યારે આવતા વર્ષે દિલ્હીના ત્રણેય નગર નિગમની ચૂંટણી યોજાઈ રહી છે તેવે સમયે ગુજરાતમાં જેમ ભાજપના આગેવાનો સ્થાનિક ચૂંટણીના પરિણામોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર ગણાવે છે તેવી જ રીતે ‘આપ’ પણ દાવા સાથે કહી શકે છે કે, નગર નિગમની ચૂંટણીના પરિણામોનું આ ટ્રેલર છે, ઝાંખી છે અને પીકચર બાકી છે. ટૂંકમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા અંગે ‘આપ’ કોંગ્રેસને નડી ગયું ભાજપને ફળ્યું તેવી વાતો કરવાને બદલે ‘આપ’ના સ્વપમાં પ્રજાને ત્રીજો વિકલ્પ મળ્યો છે ભાજપ અને કોંગ્રેસથી ત્રસ્ત પ્રજાને એક મત આપવાનું મજબૂત બહાનું મળ્યું છે આંદોલનમાંથી ઉભી થયેલી આ પાર્ટી દિલ્હી બાદ ગુજરાતમાં અસરદાર બની શકી છે તે વાત નોધવી જ પડશે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
