કોરોના મહામારી બાદ હવે શાળાઓ અને કોલેજો ખુલી છે. જો કે હજુ કોરોનાએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. એક તો કોરોનાનો કહેર હતો ત્યારે તેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે હવે કોરોનાનો ભય ઓછો થયો અને શિક્ષણ કાર્ય શરૂ થયું અને નવી મુશ્કેલી ઉભી થઇ છે. કારણકે રાજ્યભરમાં નવા પુસ્તકોની અછત સર્જાઈ રહી છે. ખાસ કરીને વડોદરા માં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણકે આ વિદ્યાર્થીઓને ભણવું તો છે પરંતુ તેમની પાસે ભણવા માટે પુસ્તકો નથી. આથી રાજ્યભરના વિદ્યાર્થીઓ સરકારને માત્ર એટલું જ કહી રહ્યા છે કે અમને પુસ્તકો આપો.

વડોદરામાં શિક્ષણ કાર્ય શરુ થયાને ત્રણ ચાર દિવસ થઇ ગયા છે પરંતુ વિદ્યાર્થીઓના બેગ હજુ ખાલી છે. વિદ્યાર્થીઓ પુસ્તકો માટે દોડાદોડી કરીએ રહ્યા છે અને વાલીઓ તેના સંતાનોનો અભ્યાસ બગડે છે તેની ચિંતામાં છે. બીજી તરફ પાઠ્યપુસ્તક વિક્રેતાઓ નવા પુસ્તકો માટે હજુ દસ થી પંદર દિવસ રાહ જોવી પડશે એમ કહી રહ્યા છે. પુસ્તકોની અછત માટે ક્યાં ઉણપ રહી છે તે જાણવું તો મહત્વનું છે જ પરંતુ અત્યારે વિદ્યાર્થીઓનું હિત વિચારવું વધુ જરૂરી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું ભણતર ખૂબ બગડ્યું છે ત્યારે હવે કોઇપણ કારણો સર વિદ્યાર્થઓનો અભ્યાસ વધુ બગડે નહિ તેના માટે ખૂબ ઝડપથી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તે મહત્વનું છે. વડોદરામાં માત્ર ધોરણ 11 અને 12 કોમર્સ જ નહિ પરંતુ દરેક ધોરણનાં પાઠ્યપુસ્તકોની તંગી ઉભી થઇ છે. તંત્ર દ્વારા પાઠ્યપુસ્તકો હોવાનો દાવો કરવામાં આવે છે કે આવશે પરંતુ રાજ્યભરમાં ખાનગી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં નવા સત્રનો શરૂઆતથી પાઠ્યપુસ્તકોની સમસ્યા જોવા મળી રહી છે અને તેના કારણે દેશના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. હવે સરકાર સહાકાર આપીને કોઈ બહાના બદલે ઝડપથી પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવે તેવી માગ વડોદરા સહીત રાજ્યભરના વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલકો અને પાઠ્યપુસ્તક વિક્રેતાઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો : આજથી ચાર મહિના સુધી સિંહ જોવા જવું નહિ : સિંહોનું વેકેશન શરૂ, પ્રવાસીઓ માટે સાસણમાં સિંહદર્શન બંધ
