Nigeria News: નાઈજીરીયા (Nigeria) દેશમાં ભીષણ આગ (Fire Broke) લાગી છે. પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં 70 લોકો દાઝી જતાં મૃત્યુ પામ્યા હતા. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે આ અકસ્માત ઈંધણ ટ્રાન્સફર દરમિયાન થયો હતો.
શનિવારે નોર્થ-સેન્ટરમાં નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગને જોઈને લોકોમાં ગભરાટનો માહોલ છવાયેલો છે. કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. જેના કારણે પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં લીધી હતી. જોત જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાઈજર સ્ટેટના ડિક્કો વિસ્તારમાં ગેસોલિન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 70 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે સ્થળ પર જ ફાટી નીકળેલી અરાજકતાને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં સફળતા મેળવી હતી.
આગ ઓલવ્યા બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘાયલોને પણ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરીને સફળ બનાવનારાઓની પ્રશંસા કરી હતી અને પોલીસને અકસ્માત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ સામાન્ય બાબત છે. અવાર-નવાર ટેન્કર બ્લાસ્ટના અકસ્માત સર્જાય છે. સપ્ટેમ્બર 2024માં પણ હાઇવે પર પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 48 લોકોના મોત થયા હતા. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:ચીનના ફૂડ માર્કેટમાં ભીષણ આગ, 8 લોકોના મોત-15ની હાલત ગંભીર
આ પણ વાંચો:અમદાવાદમાં ટાઈટેનિયમ સ્કેવરમાં ભીષણ આગ, જાણો ઈમરજન્સીમાં કેવી રીતે કરશો પોતાનો બચાવ
આ પણ વાંચો:ગુરુગ્રામ, દિલ્હીના વેરહાઉસમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ થઈ નથી