Uttarpradesh News : ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભારે દેવા અને ગંભીર બીમારીથી પીડાતા એક વૃદ્ધ દંપતીએ બેંક લોન ચૂકવવા માટે પોતાની કિડની (Kidney) વેચવાની પરવાનગી માંગતા ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. દંપતીએ બેંક કર્મચારીઓ પર સતત હેરાનગતિના આક્ષેપ પણ કર્યા છે.
બેંક ઓફ ઈન્ડિયામાંથી 50 લાખની લોન લીધી હતી
વૃદ્ધ દંપતીએ 14 વર્ષ પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી ₹50 લાખની લોન લીધી હતી.જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓને કારણે તેઓ લોનના હપ્તા ભરવામાં અસમર્થ રહ્યા છે. દંપતીનું કહેવું છે કે બીમારી બાદ આવકના સાધનો બંધ થઈ ગયા અને સારવાર પાછળ મોટી રકમ ખર્ચાઈ ગઈ.

આ ઘટના અલીગઢના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નૌરંગાબાદની કુમ્હાર વાલી ગલીની છે. પન્ના લાલ અને તેમની પત્ની કૃષ્ણા દેવી ગુરુવારે અલીગઢ જિલ્લા મુખ્યાલય પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિને સંબોધિત પત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કર્યો હતો.
કૃષ્ણા દેવીએ જણાવ્યું કે તેઓ અને તેમના પતિ બંને છેલ્લા ઘણા વર્ષોથી હૃદયરોગથી પીડાઈ રહ્યા છે. 2022માં તેમને હૃદયની ગંભીર સમસ્યા થઈ હતી, ત્યારબાદ 2023, 2024 અને 2025 દરમિયાન બંને પતિ-પત્નીને વારંવાર હાર્ટ એટેક આવ્યા. તેમની સારવાર દરમિયાન કૃષ્ણા દેવીને હાર્ટ સ્ટેન્ટ અને વાલ્વ મૂકવામાં આવ્યો, જ્યારે પન્ના લાલને પેસમેકર લગાવવો પડ્યો.
દંપતીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સારવાર પાછળ અંદાજે ₹28થી ₹36 લાખનો ખર્ચ થયો છે. આર્થિક સ્થિતિ બગડતા હવે તેઓ બેંક લોન ચૂકવી શકતા નથી. બેંક દ્વારા ઘર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થવાની ભીતિ છે.
કિડની (Kidney) વેચવાની મંજૂરી
ઘર અને પરિવારને બેઘર થવાથી બચાવવા માટે અંતિમ વિકલ્પ તરીકે દંપતીએ પોતાની એક કિડની (Kidney) વેચવાની મંજૂરી આપવા અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તેઓ તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય મદદ કરે.
