દિલ્હી
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય આર્મીના સૈનિક કુલભુષણ જાધવે સોમવારે તેમના પરિવાર સાથે કરેલી મુલાકાત અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજયસભામાં પાકિસ્તાન પર ફટકાર વરસાવ્યો હતો. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજયસભાને સંબોધતા કહ્યું કે પાકિસ્તાને કુલભુષણની માતા અને પત્નિ સાથે અમાનવીય વર્તન કર્યું હતું.આ મુલાકાત માનવતાના હક્કનું હનન સમાન હતી.તેમની આજુબાજુ ડરનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.
સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાને કુલભુષણ જાધવના માતા અને પત્નિના મંગળસુત્ર,બંગડી અને બિંદીને જબરદસ્તીથી ઉતરાવીને તેમને વિધવા બનાવી દીધા હતા.
સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાને સુરક્ષાના નામે તેમની પત્નીના ચંપલ પણ ઉતરાવ્યા અને તે પરત પણ ન આપ્યા.કુલભુષણની માતાની સાડી ઉતરાવીને તેમને સુરક્ષાના નામે ડ્રેસ પહેરાવ્યો હતો.
સુષ્મા સ્વરાજે ચોંકાવનારી વિગતો આપતા કહ્યું કે કુલભુષણની માતા તેમની માતૃભાષા મરાઠીમાં વાત કરી રહ્યાં હતા ત્યારે ત્યાં હાજર બે પાકિસ્તાની અધિકારીઓએ તેમને રોક્યા હતા.જો કે તેમ છતાં તેમણે મરાઠીમાં વાત ચાલુ રાખતા તેમનો ઇન્ટરકોમ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરે કુલભુષણ જાધવના માતા અવંતિકા અને પત્ની ચેતનાએ પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જાધવ અને માતા-પત્ની વચ્ચે કાચ દીવાલ લગાવવામાં આવી હતી. મુલાકાત પહેલાં પાકિસ્તાને માતા અને પત્નીનું અપમાન કરતાં ચાંદલો, મંગળસૂત્ર અને કપડાં બદલાવવાની ફરજ પડી હતી.
