બેંગલુરુ,
ઇલેકશન કમિશન દ્વારા કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન બાદ હાલ રાજકીય પાર્ટીઓ વચ્ચે ધમાસાણ જોવા મળી રહ્યું છે. વર્તમાન સિદ્ધારમૈયા સરકારે લિંગાયત કાર્ડ રમીને ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરી છે પરંતુ હાલ BJP માટે આ કાર્ડ કરતા પણ મોટી પરેશાની હવે કન્નડ ભાષા બની ગઈ છે.
બીજેપી માટે હવે પાર્ટીના નેતાઓ હિંદીથી કન્નડ ભાષામાં ટ્રાંસલેટ કરવાવાળા બની ગયા છે અને અ કારણે તેઓ હવે વિપક્ષના નિશાના પર આવી રહ્યા છે.
BJP MP Prahlad Joshi says "Narendra Modi will not do anything for the poor and Dalits". I am surprised that all BJP leaders have started speaking the truth. https://t.co/HM1goggfv9
— Siddaramaiah (@siddaramaiah) March 29, 2018
હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના દવાનાગિરીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રેલીને સંબોધિત કરતા અમિત શાહે સિદ્ધારમૈયા સરકાર પર વિરોધનો મારો ચલાવતા કહ્યું હતું કે, “વર્તમાન સિદ્ધારમૈયા સરકાર રાજ્યનો વિકાસ કરી શકતી નથી. તમે પીએમ મોદી પર વિશ્વાસ કરીને યેદિયુરપ્પા ને વોટ આપો. અમે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવીને બતાવીશું”.
પરંતુ શાહ દ્વારા આપવામાં આવેલું આ નિવેદન જયારે ચર્ચાનું કેન્દ્ર બન્યું જયારે ધારવાડના બીજેપી સાંસદ પ્રહલાદ જોશીએ ભાજપના અધ્યક્ષના નિવેદનનું ભાષાંતર કરતા કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબ, દલિત અને પછાત વર્ગના લોકો માટે કઈ પણ નહીં કરે. તેઓ દેશને બર્બાદ કરી નાખશે, તમે તેઓને મત આપો”.
મહત્વનું છે કે, આ પહેલીવાર નથી જયારે ઉત્તર ભારતના બીજેપી નેતાઓને દક્ષિણ ભારતમાં પ્રચાર-પ્રસાર માટે તકલીફ પડી રહી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી બેંગલુરુમાં એક જાહેરસભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા. ત્યારે મહત્તમ લોકોને તેઓ દ્વારા આપવામાં આવેલા હિન્દી ભાષી ભાષણ સમજાઈ શક્યું ન હતું.
આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન સિદ્ધારમૈયા સરકાર પર હુમલો બોલતા તેઓની જીભ લપસી ગઈ હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, જો ભ્રષ્ટાચારમાં કોઈ પ્રતિસ્પર્ધા કરવામાં આવે તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચારમાં નંબર વનનો એવોર્ડ આપવો જોઈએ.’
