અમદાવાદ
અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ NCB ની ટીમે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ટ્રકમાં 10 કિલો ચરસનો જથ્થો લઈને આવતા બે કાશ્મીરી શખ્સની ધરપકડ કરી છે. એનસીબીએ અંદાજે રૂપિયા એક કરોડના ચરસના જથ્થો તેમજ ટ્રકને કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડિલિવરી કરવા માટે બન્ને કાશ્મીરી શખ્સોને 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડ (એનસીબી)ને માહિતી મળી હતી કે અમદાવાદ શહેરમાં આવી રહેલી એક ટ્રકમાં ચરસનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એનસીબીની ટીમે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી પસાર થઈ રહેલી કાશ્મીરના પાસિંગ વાળી જેકે-૧૩ D-5422 નંબરની ટ્રકને શંકાના આધારે અટકાવી હતી.

આ ટ્રકને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન ટ્રકમાંથી 10 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે એનસીબીની ટીમ દ્વારા ટ્રકમાં સવાર બે કાશ્મીરી શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીની ટીમે ટ્રકમાં આવેલા બંને શખ્સોની પૂછપરછ કરી હતી, જેમાં મુશ્તાક બટ અને સોહૈલ અહમદ ગની નામના આ બંને કાશ્મીરીઓ એક કરોડ રૂપિયાનું ચરસ લઇને અમદાવાદ આવ્યા હતા. કાશ્મીરથી ટ્રકમાં લાવવામાં આવેલું આ ચરસ સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરવામાં આવવાનું હતું. આ કાશ્મીરી શખ્સો આ માદક દ્રવ્યને ગુજરાતમાં સપ્લાય કરે તે પૂર્વે જ એનસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા.

આ પૂછપરછ દરમિયાન ચરસ સાથે ઝપાયેલા આ બન્ને શખ્સો જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ડિલિવરી કરવા માટે બન્ને કાશ્મીરી શખ્સોને 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક કરોડ રૂપિયાના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે શખ્સ પૈકીનો મુશ્તાક આ અગાઉ પણ ચરસની ડિલિવરી કરવા માટે ગુજરાતની એક ખેપ મારી ચૂક્યો હોવાની આશંકા પણ એનસીબીની ટીમે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
