ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીનો આજે 62મો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે શુભેચ્છા પાઠવી હતી. 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂનમાં મૂખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિક લાલ અને માતાનું નામ માયાબેને છે.
રમણિકલાલ 1960માં બર્માને છોડીને હંમેશા માટે ભારત આવી ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા. સીએમ રૂપાણી ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.

સીએમના જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવશે. ભાજપ કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફળ આપીને ઉજવણી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 14મી વિધાનસભામાં બીજી વખત નેતૃત્વ કરી રહ્યાં છે.
બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે.
Birthday wishes to the Chief Minister of Gujarat, Shri Vijay Rupani Ji. Under his leadership, Gujarat continues to scale new heights of progress. I pray that he is blessed with a long and healthy life. @vijayrupanibjp
— Narendra Modi (@narendramodi) August 2, 2018
જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેઓ સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનો જન્મદિન પુરગ્રસ્તો સાથે રહીને સેવાકાર્યથી મનાવ્યો હતો. પ્રજાવત્સલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠામાં પાંચ દિવસ રોકાણ કર્યું હતું.
આજના દિવસે તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ અમદાવાદની હોસ્પિટલોની મુલાકત લેશે. આજે સવારે 10 વાગે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તે ઉપરાંત વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ પણ કરવામાં આવેશે.
