નવી દિલ્હી,
કેન્દ્રની મોદી સરકાર તરફથી દેશભરમાં રૂપિયાની બચત કરનારા લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા ગુરુવારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ૦.૪ % સુધીનો વધારો કરવાની જાહેરાત્ત કરી છે.
આ નાની બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ શામેલ છે. આ વ્યાજ દરો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિક સુધી પ્રભાવિત રહેશે અને ત્યારબાદ દર ત્રણ મહિને સંશોધન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૫ વર્ષના ટર્મ ડિપોઝીટ, રિકરિંગ ડિપોઝીટ સિનીયર, સિટિઝન સ્કીમની રિકરિંગ ડિપોઝીટ વધીને ૭.૮, ૭.૩, અને ૮.૩ ટકા થઇ ગયું છે. સિનીયર સિટીઝનની સ્કીમનું વ્યાજદર ક્વાર્ટરલી આપવામાં આવે છે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક સર્ક્યુલર મુજબ, અન્ય યોજનાઓ જેવી કે પાંચ વર્ષના ટાઈમ ડિપોઝીટ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજ દરમાં ૦.૪૦ % વધારો કરવામાં આવ્યો છે.

નાની બચત યોજનાઓમાં વ્યાજ દરમાં કરાયેલા આ વધારા બાદ પીપીએફ અને NSC પર ૮ ટકા વ્યાજ મળશે. જયારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે ૮.૫ % અને સિનીયર સિટીઝન બચત યોજના પર ૮.૭ % વ્યાજ મળશે.
મહત્વનું છે કે, આ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં છેલ્લા બે ક્વાર્ટરથી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત સરકાર દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ક્વાર્ટર (જાન્યુઆરી થી માર્ચ)માં આ યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
