નવી દિલ્હી,
લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) ના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા વાંકયુદ્ધનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે, ત્યારે હવે CBI દ્વારા પોતાના જ નંબર ૨ અધિકારી રાકેશ અસ્થાના પર આરોપ લગાવવામાં આવ્યો છે.
CBI દ્વારા અસ્થાના પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે, “તેઓ તપાસની આડમાં વસૂલી રેકેટ ચલાવતા હતા”.

બીજી બાજુ બુધવારે આ મામલે મોદી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને CBI ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે. જયારે નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી છે.
અંગ્રેજી અખબાર ટાઈમ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, “આ વસૂલી રેકેટમાં DSP દેવેન્દ્ર કુમાર પણ શામેલ છે”.
રાજધાની દિલ્હી સ્થિત એક કોર્ટમાં સુનાવણી દરમિયાન CBI દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓ દ્વારા FIRમાં વસૂલી રેકેટ સાથે જોડાયેલા માંમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે.

રાકેશ અસ્થાના વિરુધ કાર્યવાહીમાં CBI દ્વારા તેઓના તમામ અધિકારો પાછા લેવામાં આવ્યા છે. CBI દ્વારા આલોક વર્માની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાતના આગલા દિવસે જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, CBI ડાયરેક્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાકેશ અસ્થાનાને તેઓના હોમ કેડર ગુજરાત પાછા મોકલવા માટેની ભલામણ કરી છે.

બીજી બાજુ રાકેશ અસ્થાના પોતાના પર કરાયેલી FIRને રદ્દ કરવા માટે મંગળવારે દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા હતા, પરતું હાઈકોર્ટ દ્વારા આ માંગને ફગાવતા અસ્થાના વિરુધ અપરાધિક કાર્યવાહી કરવા માટેનો નિર્દેશ આપ્યો છે. જો કે કોર્ટ દ્વારા રાકેશ અસ્થાનાને હાલમાં ધરપકડ કરવા નાગે રાહત આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાકેશ અસ્થાના પર લાગેલા આરોપો બાદ તેઓની ધરપકડ સોમવાર સુધી કરવામાં આવી શકે નહી. ત્યારબાદ હવે આ મામલાની આગામી સુનાવણી ૨૯ ઓક્ટોબરના રોજ થશે. બીજી બાજુ અરેસ્ટ કરાયેલા DSP દેવેન્દ્ર કુમારને સાત દિવસની CBI રી,રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.
