સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા યુનિટી એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. રાજકોટથી દક્ષિણ ભારત સુધીની આ યુનિટી એક્સપ્રેસ ટ્રેન સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.
રાજકોટ રેલ્વે ડિવીઝનનાં ડી.આર.એમ પી. બી. નિનાવેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એમણે જણાવ્યું હતું કે, 31તારીખે 12:50 વાગ્યે યુનિટી એક્સપ્રેસ રાજકોટ જંક્શનથી રવાના કરવામાં આવશે.
12 દિવસ અને 11 રાત્રીના પ્રવાસની આ ટ્રેનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 600 જેટલા લોકોએ બુકિંગ કરાવી લીધું છે. 800 પેસેન્જરની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 12 સ્લિપિંગ કોચ અને 1 થ્રી ટાયર એ.સી કોચ રહેશે.

જેમાં સ્લિપર કોચની ટીકીટ ભાડું 11,340 અને એ.સી કોચનું ટીકીટ ભાડું 13,860 રહેશે. આ પેકેજમાં રેલયાત્રા ઉપરાંત ભોજન, સાઈટ સીન, પરિવહન સહિત રાત્રી રોકાણ માટે કોમન હોલની સગવડ પણ આપવામાં આવશે.
મહત્વનું છે કે, આગામી 31 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે આ યુનિટી એક્સપ્રેસમાં પણ એક સ્પેશ્યલ કોચમાં સરદાર વલ્લભભાઇ પટેલનાં જીવન ચરિત્રને લઇને પોસ્ટરો અને સાહિત્ય રાખવામાં આવશે.
