અમદાવાદ: RBI ના નવનિયુક્ત ગવર્નર શક્તિકાંત દાસ આરબીઆઈને ક્યાંક ઈતિહાસ ના બનાવી દે તેવું નિવેદન ગુજરાત ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે ટ્વીટ કરીને જણાવ્યું છે. જયનારાયણ વ્યાસ દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટે કેન્દ્રની ભાજપ સરકારે કરેલી નિમણુક સામે જ સવાલ ઉભા કરી દીધા છે.

ગુજરાત ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસ છેલ્લા કેટલાય સમયથી મેઈન સ્ટ્રીમથી અળગા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ જયનારાયણ વ્યાસે આજે RBI ના નવનિયુક્ત ગવર્નર અંગે એક ટ્વીટ કરી હતી.
આ ટ્વીટમાં જયનારાયણ વ્યાસે જણાવ્યું છે કે, આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસનો શૈક્ષણિક અભ્યાસ એમ.એ.(History) છે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે, તેઓ કઈ આરબીઆઈને હિસ્ટ્રી (ઈતિહાસ) ના બનાવી દે. ભગવાન નવનિયુક્ત ગવર્નરને આશિષ આપે.
The New RBI Governor Das's educational qualification is MA (History ) . Hope and Pray he doesn't make RBI also a History .May God Bless the New Arrival !!
— Jay Narayan Vyas (@JayNarayan_Vyas) December 12, 2018
ભાજપના સિનિયર નેતા એવા જયનારાયણ વ્યાસની આરબીઆઈના ગવર્નર સામેની આ ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.
ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી આ નિયુક્તિ સામે ભાજપના જ સિનિયર નેતાએ જ ટ્વીટ કરીને સવાલ ઉભો કરી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વખતથી આરબીઆઈના ગવર્નરની નિમણુક અને કામગીરી સામે વિવાદો ઉભા થઈ રહ્યા છે. તેમાંય જ્યારેથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી આરબીઆઈ અને તેના ગવર્નર સતત ચર્ચામાં રહ્યા છે.
આરબીઆઈ અને તેના ગવર્નર રઘુરામ રાજન હોય કે, ઊર્જિત પટેલ હોય કે પછી ડેપ્યુટી ગવર્નર એક ય બીજા કારણોસર સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે.
