Not Set/ સંસદમાં પાસ થયું જનરલ કોટા અનામત બીલ, PM મોદીએ ગણાવ્યું પરિવર્તનની દિશામાં મહત્વનું પગલું

નવી દિલ્હી, સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે. લોકસભામાં પસાર થયા બાદ બુધવારે આ બીલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદના ઉપલા ગૃહમાં આં બીલના પક્ષમાં કુલ ૧૬૫ વોટ પડ્યા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે.

લોકસભામાં પસાર થયા બાદ બુધવારે આ બીલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદના ઉપલા ગૃહમાં આં બીલના પક્ષમાં કુલ ૧૬૫ વોટ પડ્યા હતા, જયારે વિરોધમાં માત્ર ૭ વોટ જ પડ્યા હતા.

મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહલોત દ્વારા સામાન્ય વર્ગના અનામત આપવા માટેનું ૧૨૪મું સંશોધન બીલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

આ પહેલા મંગળવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં આ બીલ મુદ્દે થયેલી લાંબી ચર્ચા બાદ અંતે વોટિંગ દ્વારા પસાર કરાયું હતું. સામાન્ય વર્ગ માટેના આ બીલના સમર્થનમાં ૩૨૩ વોટ પડ્યા હતા, જયારે ૩ સભ્યોએ બિલનો વિરોધ કર્યો હતો.

આ બીલ સંસદમાં પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરિવર્તનની દિશામાં મહત્વનું પગલું બતાવ્યું છે. તેઓએ જણાવ્યું, “૧૨૪મું સંશોધન બીલ, ૨૦૧૯ સંસદના બંને ગૃહોમાં પસાર થવું એ અમારા યુવા શક્તિને ભારતના પરિવર્તન પ્રત્યે તેઓના યોગદાનને બતાવવા માટે એક વિસ્તૃત કેનવાસ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.

મોદી સરકારના આ નિર્ણયને આવકારતા પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’, સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે”.