ભારત વિશ્વ કપની પહેલી મેચ 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રોઝ બાઉલ, સાઉથહૈમ્પ્ટન મેદાનમાં રમશે. જ્યા એક તરફ દક્ષિણ આફ્રિકા બે મેચ રમીને બંન્નેમાં હાર મેળવી ચુકી છે, જે ભારત વિરુદ્ધ મેચ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે. બીજી તરફ ભારત પોતાની પહેલી મેચથી જીતનો આગાઝ કરવા મેદાને ઉતરશે. જો કે આ વચ્ચે ભારતને વિશ્વ કપ વિજેતા બનાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે કેપ્ટન કોહલીની સમજણને લઇને નિવેદન આપ્યુ છે.

વિશ્વ કપ વિજેતા અને પૂર્વ ખેલાડી કેપ્ટન કપિલ દેવે તાજેતરનાં કેપ્ટન વિરાટ કોહલીને ‘પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ ઉપર સૌની નજર રહેશે અને તે મહત્વની પણ રહેશે. વેસ્ટ ઈંન્ડિઝને 1983માં પ્રથમવાર ભારતે હરાવી વિશ્વ કપ અપાવનાર કપિલ તે સમયનો મહાનાયક છે જેને જોઈને હાલની ટીમનાં ઘણા ખેલાડીઓએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ઈંગ્લેન્ડમાં ગુરૂવારથી શરૂ થયેલા વિશ્વ કપ પહેલા આવેલા એક નવા પુસ્તક ‘વર્લ્ડ કપ વોરિયર્સ’માં ચાર વિશ્વ કપ રમી ચુકેલા કપિલે વિરાટની પ્રશંસા કરતા કહ્યું, ‘આ મુશ્કેલ અભિયાન પર ભારતની આગેવાની માટે તેના કરતા સારૂ કોઈ ન હોઈ શકે. તે ચાર વર્ષ પહેલા વધુ ઇમોશનલ હતો પરંતુ હવે પરિપક્વ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તે કઈ રીતે પોતાના સાથી ખેલાડીઓને સલાહ આપે છે, જે પરિપક્વતાની નિશાની છે.’ કપિલે આગળ લખ્યું, ‘ક્રિકેટની તેની સમજણ પણ સારી થઈ છે અને હવે તે શાનદાર કેપ્ટન છે.

વિશ્વકપમાં તેની આગેવાની અને બેટીંગ મહત્વની રહેશે. ચોક્કસપણે ટીમે પણ તેની અપેક્ષાઓ પ્રમાણે ખરૂ ઉતરવું પડશે. આ વખતે તેની પાસે શાનદાર ટીમ છે.’ છેલ્લા ત્રણ દાયકાથી ક્રિકેટ કવર કરી રહેલા અનુભવી ખેલ પત્રકાર વિજય લોકપલ્લીએ લખેલા આ પુસ્તકમાં ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની આગેવાનીમાં વિશ્વ કપ રમવા ગયેલા ભારતનાં 15 ખેલાડીઓ વિશે 1983ની વિશ્વ કપ વિજેતા ટીમમાં તેની સમકક્ષ રહેલા ખેલાડીઓએ પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે.

જેમ કે વિરાટ વિશે કપિલે, એમએસ ધોની વિશે 1983 વિશ્વ કપ વિજેતા ટીમનાં વિકેટકીપર કિરણ મોરેએ, શિખર ધવન વિશે ઓપનિંગ બેટ્સમેન ક્રિસ શ્રીકાંતે પોતાની વાત રાખી છે. આ સિવાય 1983 ટીમનાં સભ્ય મદન લાલ, સંદીપ પાટિલ, યશપાલ શર્મા, કીર્તિ આઝાદ, બલવિંદર સંધૂએ પણ બ્લૂમ્સબરી ઈન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પોતાનો મત રાખ્યો છે. પુસ્તકમાં ખેલાડીઓની વ્યક્તિગત જિંદગી, ક્રિકેટમાં શરૂઆત, સિદ્ધિઓ, રમવાની શૈલીનું વર્ણન આપવામાં આવ્યું છે.

અહી પ્રસ્તાવનાં યુવરાજ સિંહે લખી છે જે 2011 વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો જ્યારે ભારતે 28 વર્ષ બાદ ક્રિકેટનો આ સર્વોચ્ચ ખિતાબ પોતાના નામે કર્યો હતો. યુવરાજે લખ્યું, ‘જ્યારે ભારતે 1983માં લોર્ડ્સ પર પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું, ત્યારે હું બે વર્ષનો હતો. બાળપણમાં અમારી વાતચીત ભારત વિશ્વ કપ વિજેતા કેપ્ટન અને મારા પોતાના શહેરનાં કપિલ દેવ વિશે થતી હતી. હું ભારત માટે રમીને વિશ્વ કપ જીતવા ઈચ્છતો હતો.’ તેણે આગળ લખ્યું, ‘વિશ્વ કપ 2007માં બહાર થયા બાદ અમે 2011માં આપણી ધરતી પર ટાઇટલ જીતવા માટે ખુબ મહેનત કરી હતી. આ વિશ્વ કપને લઈને ઘણી હાઇપ અને રોમાંચ હતો. અમે બધા સચિન તેંડુલકર માટે જીતવા ઈચ્છતા હતા જે અંતિમ વિશ્વ કપ રમવા જઇ રહ્યા હતા.’

વિશ્વ કપ દરમિયાન યુવરાજને કેન્સરનાં લક્ષ્ય જોવા મળ્યા હતા. તેણે લખ્યું, મારા માટે તે ખુબ મુશ્કેલ સમય હતો. ટૂર્નામેન્ટ દરમિયાન જ મારી સ્થિતિ બગડવા લાગી છે પરંતુ અમારે જીતવું હતું. વાનખેડે સ્ટેડિયમ પર આખરે અમારૂ સપનું પૂરુ થયું અને હવે એકવાર ફરી વિરાટની આગેવાનીમાં ભારતની પાસે સૂવર્ણ તક છે. આ તકને કેપ્ટન કોહલી જીતમાં ફેરવી શકેશે તે હવે જોવુ રહ્યુ.
