ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. રાજ્યમાં આ વર્ષે ચોમાસું આશીર્વાદરૂપ રહ્યું છે. જો રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો અહી 204 જળાશયો પૈકી 51 જળાશયો 100 ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત 49 જળાશયો 70 થી 100 ટકા સુધી ભરાયા છે. રાજ્યમાં સરેરાશ વરસાદ 99.04 ટકા રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમ ધોકારીને વરસ્યા છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે મળતા અહેવાલ મુજબ 3 સપ્ટેમ્બર-2019નાં રોજ સવારે 6.00 કલાકે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં લોધીકા, પાલીતાણા અને બોટાદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરાંત આઠ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ, ચીખલી, રાપર ઘોઘા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, ટંકારા અને જોડીયાનો સમાવેશ થાય છે. ઉપરાંત 105 તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. રાજ્યમાં સરેરાશ વરસાદ 99.04 ટકા પડી ચુક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 121.56 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 80.28 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 95.72 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 89.02 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 110.35 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યનાં 204 જળાશયો પૈકી 51 જળાશયો 100 ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત 49 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે, 29 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 25 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે અને 55 જળાશયો 25 ટકા થી ઓછા ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 40.37 ટકા જળસંગ્રહ થયો છે, ઉપરાંત મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 95.81 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 86.46 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 69.92 ટકા અને સૌરાષ્ટ્રનાં 139 જળાશયોમાં 59.25 ટકા જળસંગ્રહ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
