શ્રદ્ધા પૂર્વક કરેલા શ્રાદ્ધથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ કરવાથી પિતૃદોષને પણ નિવારી શકાય છે. જીવનમાં કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છો અથવા કુંડળીમાં પિતૃદોષ છે કે અન્ય ગ્રહદોષને પણ પિતૃ પક્ષમાં થતી શ્રાદ્ધ ક્રિયાથી નિવારી શકાય છે. શ્રાદ્ધ કર્મથી વ્યક્તિ પર તેના પૂર્વજોના આશિર્વાદ વરસે છે અને કોઈ કામમાં આવતી અડચણ પણ દૂર થાય છે. પણ આજની વ્યસ્ત જીંદગીમાં કેટલીક વાર વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી નથી શકતા. ત્યારે આવો આજે જાણીએ કે જો શ્રાદ્ધ નથી કરી શકતા તો શું કરવું …
જો શ્રાદ્ધની સંપૂર્ણ વિધિ પ્રમાણે પાલન ન થઈ શકે તો શું કરવું કે જેનાથી પિતૃઓની આત્માની તૃપ્તિ પણ થાય અને સાથએ જ પિતૃદોષ પણ નિવારી શકાય . આવો આજે જાણીએ પિતૃ પક્ષમાં કરવાના એ સરળ લૌકિક ઉપાય કે જેનાથી પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન થતી હોવાની માન્યતા છે.
બ્રાહ્મણને ભોજન કરાવો
વ્યસ્તતાને કારણે આપ જો શ્રાદ્ધ કર્મ નથી કરી શકતાં તો ઘરે એક બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવો અને જો તે પણ ન કરી શકો તો સીધું સામાન દાન કરીને પણ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. દાનમાં આપ અનાજ અથવા લોટ, ઘી, ગોળ, ખાંડ કે શાકનું દાન કરી શકો છો.

કાળા તલનું દાન
એવું કહેવાય છે કે જો આપ ઘી, ગોળ કે કશું જ કોઈને દાન કરવા સમર્થ નથી, પરંતુ પિતૃઓને પ્રસન્ન કરવાં છે તો આપ એક બ્રાહ્મણને માત્ર એક મુટ્ઠી કાળા તલનું દાન કરો.

નદીમાં કાળા તલને અર્પણ કરો
એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મમાં કાળા તલ અનિવાર્ય છે. આપ આપના ઘરની નજીક કોઈ નદી કિનારે જઈ માત્રા કાળા તલથી નદીમાં તેની તર્પણ વિધિ કરો છો તો પણ પિતૃઓની આત્માને શાંતિ પ્રદાન થતી હોવાની માન્યતા છે અને જો કોઈ નદી આપના ઘરની નજીક નથી અથવા ત્યાં જઈ શકવા સમર્થ નથી તો ઘરમાં દક્ષિણમુખ રાખી પિતૃઓને તર્પણ કરો.
સૂર્યદેવને પ્રાર્થના
જો આપ પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ નથી કરી શક્યા તો સૂર્યદેવની સામે શ્રદ્ધાથી નતમસ્તક થઈ પિતૃઓની ક્ષમા માંગવી. સાથે જ સૂર્યદેવને પ્રાર્થના કરવી કે આપના પૂર્વજો સુધી આપનો પ્રેમ અને આપની પ્રાર્થના આપની ક્ષમા સાથે પહોંચાડે.

પીપળાને પાણી આપવું
સંપૂર્ણ પિતૃપક્ષમાં શ્રાદ્ધ પણ ન થઈ શકે તો પીપળાને જળ અવશ્ય ચઢાવવું. એવું કહેવાય છે કે પીપળામાં પૂર્વજોનો વાસ હોય છે. પીપળાને પાણી આપવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે.

