સિંગાપોરમાં એક ભારતીય વિદ્યાર્થીને ગુરુવારે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને લાયસન્સ વિના પેમેન્ટ સેવાઓનો ધંધો કરવા અને અન્ય આરોપીઓ સાથે વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરીને તપાસમાં અવરોધ ઉભો કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર 26 વર્ષીય જસપ્રીત સિંહના આ કેસમાં આઠ સાથી હતા. આ તમામ ભારતીય નાગરિકોની ઉંમર 20-25 વર્ષની વચ્ચે છે. આરોપીના અન્ય બે અજાણ્યા સાથીઓ ભારતમાં હોવાનું માનવામાં આવે છે, જ્યાં તેઓ મની લોન્ડરિંગ ગેંગ ચલાવે છે.
હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કરવા માટે જસપ્રીત સપ્ટેમ્બર 2019માં સિંગાપોર આવી હતી. તે તેના ચાર સહ-આરોપીઓ સાથે બુકિત પુરમી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. સિંગાપોર આવ્યાના એક વર્ષ પછી, સિંઘના એક સાથીએ તેમને તેમની પૈસા કમાવવાની યોજના વિશે જણાવ્યું. તેને કહેવામાં આવ્યું હતું કે તે વિદેશમાંથી પૈસા મેળવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ આપીને પૈસા કમાઈ શકે છે.
જ્યારે જસપ્રીતને ખબર હતી કે આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર છે. તેમ છતાં તે સંમત થયો. સિંઘ, અન્ય સહયોગીઓ સાથે, એક વોટેસએપ જૂથ સાથે જોડાયેલા હતા જેનો ઉપયોગ મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓનું સંકલન કરવા અને વિવિધ બેંક ખાતાઓમાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવે તેની ખાતરી કરવા માટે કરવામાં આવતો હતો. બાદમાં આ રકમ ખાતામાંથી અન્ય લોકોને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બે કેનેડિયન માણસોની ફરિયાદો મળવા પર, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્શિયલ અફેર્સ (CAD) એ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે સિંઘના બેંક એકાઉન્ટનો પણ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસની એક આરોપી મુખર્જી સુકન્યા (24)એ નવેમ્બરમાં ગુનો કબૂલ્યો હતો અને તેને 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે, તેનઝિંગ ઉગેન લામા શેરપા (23)ને 40 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તીર્થ સિંહ (22)ને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાકીના કેસમાં સુનાવણી બાકી છે
અન્ય એક કેસમાં, દેશના સત્તાવાળાઓ દ્વારા ગત વર્ષે ધરપકડ કરાયેલા કટ્ટરપંથી અને બાંગ્લાદેશી કાર્યકર પર સિંગાપોરમાં ત્રાસવાદી ધિરાણના 15 ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 27 વર્ષીય કાર્યકર અહેમદ ફૈઝલ યુદ્ધગ્રસ્ત સીરિયામાં આતંકવાદી જૂથોને નાણાં ટ્રાન્સફર કરતો જોવા મળ્યો હતો.
