ભારતના વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતીકાલે એટલે કે 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે શરૂ થશે. દેશના નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈએ યોજાનાર છે. આ પહેલા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંસદ દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ માટે બંને ગૃહો દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના વિદાય ભાષણ દરમિયાન રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતમાં પક્ષપાતની રાજનીતિથી ઉપર ઊઠીને લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે તે નક્કી કરવા આહ્વાન કર્યું હતું.
સંસદને લોકશાહીનું મંદિર ગણાવતા, રાષ્ટ્રપતિ કોવિંદે પક્ષોને ગૃહમાં ચર્ચા દરમિયાન ગાંધીવાદી ફિલસૂફીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિનો આજે વિદાય સમારંભ યોજાયો હતો રાષ્ટ્રપતિ કોવિંદને વિદાય આપવા માટે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક સાંસદોએ હાજરી આપી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે કહ્યું, “હું દ્રૌપદી મુર્મુને આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, તેમના માર્ગદર્શનથી દેશને ફાયદો થશે.” નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
