24 જૂને કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડની ઘટના બની હતી. જેના કારણે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. જયારે હવે પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. કાલપેટ્ટા પોલીસે જણાવ્યું કે વાયનાડ ઓફિસમાં મહાત્મા ગાંધીની તસવીર સાથે ચેડા કરવા બદલ સાંસદ રાહુલ ગાંધીના કર્મચારીઓ સહિત 4 કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસે SFI કાર્યકરો પર આરોપ લગાવ્યા હતા
હકીકતમાં કોંગ્રેસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે SFI કાર્યકરોએ વાયનાડમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલયમાં ચિત્રની તોડફોડ કરી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં ગુસ્સે ભરાયેલા SFI વિરોધીઓ રાહુલ ગાંધીની ઓફિસમાં ઘૂસી જતા ઉગ્ર દલીલો થઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલયમાં ઘૂસતા વિરોધીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ઘટના બાદ રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા હતા
ઘટના બાદ 1 જુલાઈએ રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા હતા. તે કાલપેટ્ટામાં આવેલી ઓફિસમાં પણ ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ મારી ઓફિસ છે પરંતુ તે મારી ઓફિસ પહેલા વાયનાડના લોકોની ઓફિસ છે. ઓફિસ પર હુમલો થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા ક્યારેય સમસ્યાનું સમાધાન નહીં કરે. તેણે બેજવાબદારીપૂર્વક કામ કર્યું તે સારું નથી. મને તેમના પ્રત્યે કોઈ ગુસ્સો કે દુશ્મનાવટ નથી. તેઓ બાળકો છે અને તેઓ તેમના કાર્યોના પરિણામોને સમજી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયે પણ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડની ઘટના અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે હિંસાની નિંદા કરી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું.
