ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ ઉમેદવારની પસંદગી કરીને યાદી જાહેર કરવામાં કામે લાગી છે એવામાં ટિકિટને લઇને ઉમેદવારો અસમજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જો કોઇને ટિકિટ નહિ મલે તો તે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે. એવો જ એક કિસ્સો પાટણમાં જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભાજપમાં ટિકિટ મુદ્દે ભારે રસાકસી જામી છે. પાટણ જિલ્લાની 4 બેઠકો પર ભાજપમાંથી ચૂંટણી લડવા ક્ષત્રિય ઠાકોર સમાજ જુસ્સો દેખાડી રહ્યું છે. ત્યારે ગઈકાલે પાટણના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગાજી ઠાકોરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
આ સભામાં અભેજીત બારડે હાલક કરી હતી કે, જો પાટણ વિધાનસભા બેઠકમાં ભાજપ મંગાજી ઠાકોરને ટિકિટ નહીં આપે તો પણ મંગાજી ઠાકોર પાટણ વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી લડશે. મંગાજી ઠાકોરે પણ પાટણમાં 25,000 વોટથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મંગાજી ઠાકોરના આ નિવેદન બાદ પાટણ વિધાનસભામાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. ખૂબ મંગાજી ઠાકોરે ભાજપ સામે બાયો ચડાવતા હવે પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવે છે તેના પર ખાસ સૌ કોઈની નજર રહેશે.
નોંધનીય છે કે, ચૂંટણી નજીક આવતા દરેક સમાજ પોતાના માટે વિધાનસભાની ટિકિટની માંગણી કરી રહ્યો છે. જ્યારે પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા હોય કે સિદ્ધપુર વિધાનસભા હોય કે પછી ચાણસ્મા વિધાનસભા હોય દરેક વિધાનસભામાં ચૂંટણીની ટિકિટ માટે પક્ષો સામે મોરચો માંડ્યો છે. પાટણમાં ભાજપના નેતાએ ટિકિટ માટે ભાજપ સામે બાયો ચડાવી છે. સાથે જો ટિકિટ નહીં આપે તો ભારતીય જનતા પાર્ટીને પાટણ સીટમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
