Gandhinagar News: ગુજરાતમાં સરદાર સરોવર ડેમની સપાટી પહેલી વખત 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદોર સરોવરની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંતી લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે.
નર્મદા પરના સરદાર સરોવર ડેમ પર 13મી સપ્ટેમ્બરે સાંજે પાણીની સપાટી 136 મીટરને વટાવી ગઈ હતી અને 14મીએ પણ તે પાણી છોડવામાં આવ્યું હોવા છતાં પણ આ જ સપાટી પર છે. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા જળસ્તર જાળવી રાખવા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા છે.
નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી 119 ડેમ તો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે. સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેના લીધે આગામી વર્ષ સુધી ગુજરાતને વાંધો આવે તેમ નથી. આમ આગામી એક વર્ષ સુધી ગુજરાતીઓની તરસ નર્મદા મૈયા છીપાવશે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 130 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 128 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 120 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 108 ટકા વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર ડેમમાં જો આ જ પ્રવાહ ચાલુ રહ્યો તો આવતીકાલ સુધીમાં તે પૂરેપૂરો 138 મીટર સુધી ભરાય તો આશ્ચર્ય નહીં થાય. જો કે તે સંપૂર્ણ ભરાય તે પહેલા ત્યાંથી વધુને વધુ પ્રમાણમાં નર્મદામાં પાણી છોડવાની તજવીજ પણ રાખવામાં આવી છે. આ માટે બંધનો સ્ટાફ એલર્ટની સ્થિતિમાં છે અને તે સતત ચોવીસે કલાક દેખરેખ રાખી રહ્યો છે.
આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા
આ પણ વાંચો: નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો, તિરંગાની થીમ પર શણગારાયો
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી આફતથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર,નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા
