બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઉભો થયેલો વિરોધ હજુ શમ્યો નથી ત્યાં જ સહકારી સંસ્થાઓના વિભાજનની માંગે નવો વિવાદ સર્જાયો છે. પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને બનાસડેરી સહિતની સહકારી સંસ્થાઓનું વિભાજન કરવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાના સરકારના નિર્ણયનો કાંકરેજ, શિહોરી, દિયોદરા અને ધાનેરામાં સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ વચ્ચે સાંસદ ડાભીએ સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે. લોકોનું માનવું છે કે, બનાસકાંઠાનું વિભાજન પાટણ જિલ્લાને અસર કરતું નથી ત્યારે સાંસદ ડાભીએ આ મુદ્દે કેમ દખલ કરી છે.

પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને બનાસડેરી સહિતની સહકારી સંસ્થાના વિભાજનની વાત બળતામાં ઘી હોમ્યું છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન આવકાર્ય છે, પરંતુએ જ રીતે સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ કરી છે. સહકારી દૂધ મંડળી, સહકારી સંઘ, ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓનું પણ વિભાજન કરવામાં આવે જેથી લોકોની સુવિધા વધે અને વધુ લાભ મળે.
બનાસડેરી ગુજરાતની સૌથી મોટી અને સફળ દૂધ સંસ્થા છે અને તેના ચેરમેન વિધાનસભા અધ્યક્ષ છે. આવી સ્થિતિમાં સહકારી સંસ્થાઓના વિભાજનની માંગથી રાજકીય મહત્વાકાંક્ષાઓ જોડાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધાનેરા, કાંકરેજ, દિયોદર પંથકના ભાજપના આગેવાનોએ પણ જિલ્લાની વિભાજન પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ દૂર કરીને સ્થાનિકોની માંગણી સંતોષવા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
ધાનેરામાં આજે સજ્જડ બંધ રહ્યુ હતું અને લોકોએ સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ વિરોધ: કાંકરેજ અને ધાનેરાના લોકોનો આક્રોશ
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત
આ પણ વાંચો: નવા વર્ષના પ્રારંભે બનાસકાંઠા જિલ્લા ને બે ભાગમાં વહેંચવા કેબિનેટ માં થઈ મહત્વની ચર્ચા
