Vadodara News: આપણે ત્યાં કહેવાય છે કે સરકારની કોઈ યોજના ગરીબો માટે આવી નથી કે ભ્રષ્ટાચારીઓ તૂટી પડ્યા નથી. આવામાં મનરેગા યોજના ભ્રષ્ટાચારીઓ માટે કૌભાંડનો મોટો ભોગ બની ગઈ છે. તેના એક વધુ બનાવનો વડોદરામાં પર્દાફાશ થયો છે. સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાનું જોબ કાર્ડ બનાવીને 75 દિવસના મસ્ટરમાં હાજરી પૂરી નાખી 17 હજાર રૂપિયાથી વધુનું મહેનતાણુ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. તેના પછી મૃતકના પરિવારની જાણ બહાર જ એટીએમ દ્વારા બધા રૂપિયા પણ ઉપડી ગયા હતા. નાણા ઉપડ્યાનો સંદેશો મૃતકના પુત્રને જતાં તે પણ ચોંક્યો હતો.
હાલ આ કૌભાંડમાં જિલ્લા વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં વિકાસ અધિકારી, તત્કાલીન તલાટી, સરપંચ સહિતના અધિકારીની ભૂમિકા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.આ મામલે મૃતક ગંગાબેનના દીકરા લાલજીભાઈ પાટણવાડીયાએ જણાવ્યુ હતું કે, મારા ફોનમાં એક મેસેજ આવ્યો હતો, જે મેસેજ મેં મારા મિત્ર પાસે વંચાવ્યો તો તેણે કીધુ કે તમારા માતાના ખાતામાંથી પૈસા ઉપડ્યા છે. મારી માતાનું તો બે વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું છે, જેથી હું ચોંકી ઉઠ્યો હતો. હું જાજું ભણેલો નથી, પણ આ મામલે કાર્યવાહી થવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ.
બહાર આવેલા કૌભાંડ અંગેની વિગતો એવી છે કે, જૂન 2022થી ડિસેમ્બર 2022 દરમિયાન સમસાબાદ ગામમાં મનરેગા યોજના અમલમાં આવી હતી. આ યોજના અંતર્ગત ગામનુ તળાવ ઉંડુ કરવામાં આવ્યું હતું. આ તળાવની માટી ગામના સ્મશાનો, મંદિર તેમજ વણકર વાસમાં નાખવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગામના તત્કાલીન તલાટી ઉર્મિલાબેન શાહ તેમજ સરપંચ કિશનભાઈ શનાભાઈ રાઠોડીયા દ્વારા કામ કરવા ઇચ્છતા ગામના 50 જેટલા લોકોની યાદી બનાવી હતી, જેના જોબ કાર્ડ બનાવ્યા હતા અને હાજરી માટે મસ્ટર તૈયાર કર્યું હતું. જેમાં ગામના પાછલા ફળિયામાં રહેતી રહેતા ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાનુ પણ જોબકાર્ડ બનાવ્યું હતું.
મનરેગાના કૌભાંડીઓએ ગામના પાછલા ફળિયામાં રહેતા ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાનું 15 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન થયું હોવા છતાં તેમના નામનું જોબકાર્ડ બનાવ્યું હતું. આ સાથે તેમના નામના મસ્ટરમાં 75 દિવસ સુધી હાજરી બતાવી હતી. તેમના મહેનતાણાની રકમ રૂપિયા 17,925 તેમના એકાઉન્ટમાં જેમાં થતાં તે રકમ મનરેગા અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ દ્વારા ઉપાડી લીધી હતી. એકાઉન્ટમાંથી રકમ ઉપાડી હોવાનો મેસેજ સ્વ. ગંગાબેન પાટણવાડીયાના પુત્ર લાલજીભાઈને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતાં. પોતે અશિક્ષિત હોવાથી તેમના મિત્રને બતાવતા આ બાબતે તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું હતું.
મનરેગાના કૌભાંડીઓએ સ્વ. ગંગાબેનનુ જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઇ લીધું હતું. જેમાં ગંગાબેનના એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી. દરમિયાન આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતાં તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી. જેમાં તેઓએ પણ કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિત અન્યને બચાવવાના પ્રયાસો કર્યાં હતાં.
આ પણ વાંચો: બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….
આ પણ વાંચો: 100 કરોડના જમીન કૌભાંડનો રેલો સુરતથી રાજકોટ પહોંચ્યો
